Ahmedabad News : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત 2036ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે.
નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન
આ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહમાં અમિત શાહે જણાવ્યું કે, આ ગ્રીન બેલ્ટ વર્ષ 1960થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તેનો એક વિશ્વ-કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે વિકાસ થયો છે. તેમણે આ પ્રોજેક્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.

ગૃહમંત્રીએ કહ્યું, “વર્ષ 2019 પછી હું વડાપ્રધાન પાસે ગયો અને કહ્યું હતું કે મારા ઘરથી 400 મીટર દૂર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું છે. બાદમાં મને વડાપ્રધાને સામેથી બોલાવીને કહ્યું હતું કે, ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો.’
તેમણે ઉમેર્યું કે, આ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક અને ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, જે સંપૂર્ણપણે ગ્રીન ટેકનોલોજી પર આધારિત છે. આ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ‘ફિટ ઇન્ડિયા ઝોન’નો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, ‘ભારતને મેડલ અપાવવું એ આપણો લક્ષ્ય હોવો જોઈએ.’

આ પણ વાંચો: સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત
આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે (14 સપ્ટેમ્બર) સવારે અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ સમારોહ 2025’ અને ‘5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તેમણે અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર આવેલા સરદારધામ કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પછી તેમણે નારણપુરામાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું.










