![]()
Ahmedabad Crime: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં જાણે ‘ખાખી’નો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેમ અસામાજિક તત્ત્વો બેખોફ બનીને ગુનાઓને અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં શહેરના મેમકો વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ જાહેરમાં આતંક મચાવી તોડફોડ કરતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મેમકો વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્ત્વો જાહેર રસ્તા પર જ બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા હતા અને રસ્તો રોકીને હંગામો મચાવી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં આવેલી એક ટ્રાવેલ્સ ઓફિસના સંચાલકે તેમને જાહેર રસ્તા પર સેલિબ્રેશન કરવાની ના પાડી હતી અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, આ બાબતે ઉશ્કેરાયેલા અસામાજિક તત્ત્વોએ કાયદાને નેવે મૂકીને પોતાની દાદાગીરી બતાવી હતી. ટોળાએ ઉશ્કેરાઈને ટ્રાવેલ્સની ઓફિસમાં ઘૂસી જઈને જોરદાર તોડફોડ કરી હતી. ઓફિસના ફર્નિચર અને કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ભરબજારે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે અને લુખ્ખા તત્ત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.










