![]()
Ahmedabad Crime News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં તસ્કરોએ ધોળા દિવસે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શુક્રવારે (છઠ્ઠી માર્ચ) રાધાસ્વામી રોડ પર આવેલી એક સોસાયટીમાં તસ્કરો બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને અંદાજે 5.75 લાખ રૂપિયાના કિંમતના સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.
ધોળા દિવસે તસ્કરોએ બનાવ્યો નિશાન
રાણીપ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, રાધાસ્વામી રોડ પર આવેલી પાર્થ સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા કુસુમબેન કારેલિયા શુક્રવારે સવારે તેમની પુત્રી સાથે કામ અર્થે ઘરની બહાર ગયા હતા. આ દરમિયાન બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ હાથફેરો કર્યો હતો. સાંજે જ્યારે માતા-પુત્રી ઘરે પરત ફર્યા ત્યારે ઘરની બારીની ગ્રીલ અને દરવાજાના તાળા તૂટેલા જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો
ચોરીની મોડસ ઓપરેન્ડી
તસ્કરોએ અત્યંત વ્યવસ્થિત રીતે આ ચોરીને અંજામ આપ્યો હતો. સૌપ્રથમ લોખંડની ગ્રીલના બે સળિયા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ મુખ્ય લાકડાના દરવાજાનું તાળું તોડી અંદર રૂમમાં તોડફોડ કરી. બેડરૂમમાં રહેલી બે તિજોરીઓને કોઈ તીક્ષ્ણ સાધન વડે તોડી નાખી હતી. તિજોરીમાં રાખેલા સોનાના દાગીના અને ચાંદીના વાસણો મળી કુલ 5.75 લાખ રૂપિયાની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસ તેજ
ઘટનાની જાણ થતા જ રાણીપ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અજાણ્યા શખસો સામે ઘરફોડ ચોરી અને તોડફોડનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.










