Ahmedabad Rain : અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે જનજીવન ખોરવાયું હતું. ખાસ કરીને મેઘાણીનગર તળાવમાં ફેરવાયું હતું, જ્યારે એફએસએલથી મીના બજાર સુધી પાણી જ પાણી જોવા મળ્યું હતું. અખબારનગર અંડરપાસ પાણી ભરાવાને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, કે.કે. શાસ્ત્રી રેલ્વે અંડરબ્રિજ પણ છલોછલ ભરાઈ ગયો હતો. એઈસી બ્રિજ અને નારણપુરા વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. 1200 બેડ સિવિલ હોસ્પિટલ નજીક ચાર રસ્તા પાસે પણ પાણી ભરાયા હતા, જેના કારણે દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 
દુધેશ્વર અને મેમકોમાં સૌથી વધુ 4.5 ઇંચ સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો મેમનગરમાં 4 ઇંચ, ઉસ્માનપુરામાં 4 ઇંચ, કાલુપુરમાં 3.5 ઇંચ, થલતેજમાં 3.2 ઇંચ, નિકોલમાં 2.9 ઇંચ, બોડકદેવમાં 2.7 ઇંચ, વિસતનગર અને નવરંગપુરામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો.
ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.















