![]()
Vadodara Crime : ન્યાયમંદિર વિસ્તારના ભગતસિંહ ચોક પાસે પથારો લગાવવા બાબતે બે ભાઈઓએ વેપારીને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડવા મામલે ફરિયાદના આધારે નવાપુરા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી હતી.
ફતેપુરા વિસ્તારના રાણાવાસમાં રહેતા અને સાયકલનો વેપાર કરતા ઇમરાન અકબર મલિકએ ફરિયાદમાં કહ્યું હતું કે, તા. 2 સપ્ટેમ્બરના રોજ સવારે મેં વીરભગતસિંહ ચોક પાસે પથારો લગાવી સાયકલનો વેપાર કરી રહ્યો હતો. તે વખતે બાબુ ઉર્ફે જુબેર યુસુફભાઈ મન્સૂરીએ મને કહ્યું હતું કે, તારે અહીં પધારો નહીં કરવાનો, આ જગ્યા અમારી છે અમારા વાહનો પાર્ક કરીએ છીએ. જેથી મેં તેમને કહ્યું હતું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી અહીં ધંધો કરું છું અચાનક આવી વાત કેમ કરો છો. આ દરમ્યાન બાબુએ મને ગાળો આપી હતી. ત્યારબાદ બાબુએ તેના મોટાભાઈ મોઈન યુસુફ મન્સૂરીને ફોન કરી બોલાવતા બંને ભાઈઓએ મને ગડદાપાટુનો માર માર્યો હતો. લોખંડની પાઇપ મારા હાથ ઉપર કાંડાના ભાગે ફટકારતા સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ત્રણ ટાંકા આવ્યા છે. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે બંને ભાઈઓની મારામારીના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










