![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં જોર શોરથી શરુ કરવામાં આવેલા હિન્દુ સ્ટડીઝના ડિગ્રી કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વર્ગોના પણ ફાંફા પડી રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે ચાર વર્ષ પહેલા આ કોર્સને લોન્ચ કરવામાં આવ્યો હતો અને નવી શિક્ષણ નીતિને અનુરુપ કોર્સ હોવાનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો.આર્ટસ ફેકલ્ટીનો આ કોર્સ હોવા છતા તેના વર્ગો સંસ્કૃત મહાવિદ્યાલયમાં ચલાવવામાં આવે છે.મહાવિદ્યાલયમાં પરીક્ષા કે બીજા કારણસર છાશવારે આ કોર્સ માટે વર્ગો ફાળવવાનો ઈનકાર કરી દેવાય છે અને તેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે.
આજે વિદ્યાર્થીઓએ આ મુદ્દે હેડ ઓફિસ ખાતે ફરિયાદ કરી હતી.વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, કોર્સના લેકચર પણ અનિયમિત રીતે લેવાય છે.ક્યારેક અધ્યાપકો આવતા જ નથી.જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે.બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે, કોર્સ માટે ચાર જ અધ્યાપક છે.ઉપરાંત તેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે.આ વર્ષે તો એફવાયમાં દસ કરતા પણ ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.










