
– ભારે વરસાદના કારણે પર્વતનો અડધો ભાગ ધસી પડયો : અનેક દટાયાની આશંકા
– ઉત્તરકાશીમાં અઢી કલાકના અંતે વાદળ ફાટવાની ત્રણ ઘટના બની, હર્ષિલમાં આર્મી કેમ્પ-હેલીપેડ તણાયા, 10 જવાન ગુમ : અકસ્માત સમયે ધરાલીમાં 200થી વધુ લોકો હતા
ઉત્તરકાશી : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી નજીક ખીર ગંગા નદી પર વાદળ ફાટવાના કારણે પૂર આવતા ત્યાંની ૨૦-૨૫ હોટેલ, હોમ સ્ટે, ઘરો અને ઝાડ તણાઈ ગયા, જેના કારણે આઠ લોકોનાં મોત થયા છે અને હજુ ૭૦ જેટલા લોકો લાપતા છે. પરિણામે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. બીજીબાજુ જળશક્તિ મંત્રાલયે જણાવ્યું કે મંગળવારે ઉત્તરકાશીમાં માત્ર અઢી કલાકના સમયમાં વાદળ ફાટવાની ત્રણ ઘટના બની હતી, જેના પગલે ધરાલીમાં ભારે વિનાશ વેરાયો હતો. આ સિવાય વરસાદે ઉત્તર ભારતમાં હિમાચલ, રાજસ્થાનથી લઈને દક્ષિણ સુધીના રાજ્યોમાં ભારે વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું હતું.










