![]()
દહેગામના પાલુન્દ્રા ગામમાં મોટું જમીન કૌભાંડ
બાર વર્ષના સમયગાળા દરમિયાન છેતરપિંડી આચરનાર સાત સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમ હેઠળ ગુનો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધીત છેતરપિંડીઓ વધી રહી છે
ત્યારે આ વખતે ખેડૂતોએ જમીન લેનારાઓને છેતર્યા હોવાની ઘટના બહાર આવી છે. દહેગામના
પાલુન્દ્રામાં એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી આપી ખેડૂતોએ ૧.૯૫ કરોડ રૃપિયા
પડાવી લઈ ગુનાહિત ષડયંત્ર આચર્યું હોવાની વિગતો બહાર આવી રહી છે.
જિલ્લામાં જમીનનોના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ખેડૂતો
સાથે જમીન સંબંધિત છેતરપિંડી થતી હોવાની ઘટનાઓ બહાર આવતી રહી છે પરંતુ આ વખતે
દહેગામ તાલુકાના ગામના ખેડૂતો દ્વારા તેમની જમીનમાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન અલગ
અલગ પાંચ વ્યક્તિઓને બાનાખત કરી આપીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના
પ્રકાશમાં આવી છે. જેને લઇ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીની સીટમાં ફરિયાદ કરવામાં
આવી હતી અને તેના આધારે હાલ દહેગામ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે
સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
ગાંધીનગરના કુડાસણમાં રહેતા અને વ્યવસાયે ખેતી કરતા
રાજેશભાઇ જેઠાલાલ જાનીએ ફરિયાદ નોંધાવી હતી કે પાલુંન્દ્રા ગામની સીમમાં આવેલી
સર્વે નંબર ૨૫૨ અને ૨૫૫ વાળી જમીન માટે વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૪ના દરમિયાન આ આખું કૌભાંડ
આચરવામાં આવ્યું હતું. ધૂળસિંહ જીવસિંહ ચૌહાણ (જે હાલ હયાત નથી) અને તેમના
સાથીદારોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને આ જમીન વેચાણ આપવાનું કહીને અલગ-અલગ
વ્યક્તિઓ સાથે બાનાખત કર્યા હતા. રાજેશભાઇ અને તેમના ભાગીદારો પાસેથી ૯૮.૯૫ લાખ
મેળવ્યા હતા. ફક્ત તેમની સાથે જ નહીં પરંતુ દર્શનભાઇ પટેલ, ઉમેશ કાંતીભાઇ
પટેલ, વિપુલકુમાર
રતિલાલ પટેલ અને મુકેશ ગૌરીશંકર પંડયાને પણ આ જ જમીનના અલગ-અલગ બાનાખત કરી આપીને
લાખો રૃપિયા પડાવ્યા હતા. આ તમામ પાસેથી કુલ મળીને ૧.૯૫ કરોડ મેળવી વેચાણ દસ્તાવેજ
કરી કરી આપવામાં આવ્યો ન હતો. જેથી હાલ દહેગામ પોલીસ દ્વારા મૃતક ધૂળસિંહ જીવસિંહ
ચૌહાણ,અજીતસિંહ
અગરસિંહ ચૌહાણ,ભીખાભાઇ
ઉર્ફે કાળુભાઇ મહીજીભાઇ દેસાઇ,મૃતક
લાલભાઇ સેધાભાઇ રાવળ,કાળુસિંહ
પરબતસિંહ ચૌહાણ, રાકેશસિંહ
ભવાનસિંહ ચૌહાણ અને લાલસિંહ ઉર્ફે રોયલ ઠાકોર વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત
ષડયંત્રની કલમો હેઠળ કરવામાં આવ્યો છે










