![]()
– જળાશયનું રૂલ લેવલ 127.71 મીટર જાળવવા
– અસરગ્રસ્ત આણંદ, ઉમરેઠ, આંકલાવ અને બોરસદ તાલુકાના 26 ગામમાં સાયરન વગાડી સાવચેત કરાયા
આણંદ : કડાણા ડેમના ૧૦ દરવાજા ૧.૮૨ મીટર ખોલી આશરે ૧.૧૯ લાખ ક્યુસેક પાણી આજે બપોરે છોડવામાં આવનાર છે. ત્યારે આણંદ જિલ્લાના અસરગ્રસ્ત થનારા બોરસદ, આણંદ, ઉમરેઠ અને આંકલાવ તાલુકાના ૨૬ ગામોમાં સાયરન વગાડી સાવચેત કરાયા છે. આંકલાવ મામલતદારે કાંઠાગાળાના વિસ્તારની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી હતી.
પાનમ અને કડાણા જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્
યારે કડાણા જળાશયનું રૂલ લેવલ ૧૨૭.૭૧ મીટર છે. જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોવાથી તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહીના પગલે ચાલુ માસે રૂલ લેવલ જાળવવા માટે આજે બપોરે કડાણા ડેમના ૧૦ દરવાજા ૧.૮૨ મીટર ખોલવામાં આવશે. દરવાજા મારફતે નદીમાં આશરે ૧,૧૮,૮૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે.
જેથી અસરગ્રસ્ત થનારા ગામોને સાવચેત કરવા પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.
આણંદ જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જિલ્લાના કુલ ગામો પૈકી બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવાણ, બદલપુર, વાલવોડ મળી કુલ ૮ ગામો, આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા, આંકલાવડી, રાજુપુરા મળી કુલ ૪ ગામો, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા અને ખોરવાડ બે ગામો તથા આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ (ઉમેટા), સંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસરમા, નવાખલ, ભેટાસી વાંટા અને ગંભીરા ૧૨ જેટલા ગામો મળીને કુલ ૨૬ ગામના લોકોને સાયરન વગાડી સાવચેત કરવામાં આવ્યા છે.
પાનમ ડેમના 2 દરવાજા ખોલી 11,244 ક્યુસેક પાણી છોડાયું
પાનમ જળાશયનું રૂલ લેવલ હાલ ૧૨૭.૪૧ મીટર છે. પાનમ જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ છે. ત્યારે રૂલ લેવલ જાળવવા આજે બપોરે પાનમ ડેમના ૨ દરવાજા ૧.૨૧ મીટર ખોલી પાનમ નદીમાં આશરે ૧૧,૨૪૪ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોવાનું પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવાયું છે.










