![]()
– મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો વસૂલવા માટે ઝુંબેશ યથાવત્
– એક જ દિવસમાં 8.41 લાખનો બાકી વેરો વસૂલાયો, 31 માર્ચ પહેલા બાકી વેરો નહીં ભરનાર સામે કાર્યવાહી થશે
આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો વસૂલવા માટે ઝુંબેશ હાથ ધરી છે. બાકી વેરો ન ભરતા ૧૪ દુકાનોને સીલ કરી છે અને એક જ દિવસમાં ૮.૪૧ લાખનો બાકી વેરો વસૂલવામાં આવ્યો છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો વસૂલવા માટે કવાયત હાથ ધરાઇ છે. ૩૧ માર્ચ પહેલા દુકાનો, બિલ્ડિંગો, મકાનોના બાકી વેરો ભરી દેવા માટે તાકીદ કરી છે. મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી વેરાની કડક વસૂલાત શરૂ કરી છે. જેમાં આજે મહાનગરપાલિકાએ મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે સ્વરૂપ કોમ્પ્લેક્સમાં, ટૂંકી ગલી પાસે મનિષ માર્કેટમાં આવેલી ૧૪ ગિકાનનો ૨.૩૫ લાખનો બાકી વેરો ન ભરતા તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત આજે મહાનગરપાલિકાએ અન્ય મિલકત ધારકો પાસેથી ૮.૪૧ લાખનો બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે. દુકાનદારો, મકાન માલિકો દ્વારા બાકી વેરો ૩૧ માર્ચ પહેલા ભરવામાં નહીં આવે તો મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાયદાની જોગાવાઇને આધિન પણ કાર્યવાહી કરવામાં આવશે.










