![]()
Iran Israel War : ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે વણસી રહેલી યુદ્ધની સ્થિતિએ ગુજરાતના અર્થતંત્ર અને પ્રવાસન ક્ષેત્ર માટે ખતરાની ઘંટડી વગાડી છે. જો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે, તો ગુજરાતના આઠથી દસ મુખ્ય ઉદ્યોગોમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે અને ટુર ઓપરેટરોને અંદાજે ₹50 કરોડનો આર્થિક ફટકો પડવાની ભીતિ છે.
ઔદ્યોગિક ક્ષેત્રે પડનારા પ્રત્યાઘાતો
વૈશ્વિક અસ્થિરતાને કારણે સુરત, અમદાવાદ, મોરબી અને જામનગર જેવા ઔદ્યોગિક કેન્દ્રો ડામાડોળ થવાની શક્યતા છે.
કૃષિ અને ટેક્સટાઇલ : આરબ દેશોમાં એરંડા, મગફળી અને કપાસની નિકાસ અટકતા સ્થાનિક બજારમાં ભાવ ઘટવાની શક્યતા છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, જે મધ્ય-પૂર્વના દેશોમાં મોટા પાયે નિકાસ કરે છે, તેને સીધો ફટકો પડશે.
સિરામિક અને કેમિકલ: મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસ સપ્લાય માટે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર નિર્ભર છે; આ માર્ગ બંધ થતા ઉત્પાદન ખોરવાશે. તેવી જ રીતે, ક્રૂડ ઓઈલ મોંઘું થતા ભરૂચ અને દહેજના પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં કાચા માલના ભાવ વધશે.
હીરા અને ફાર્મા: યુરોપ-અમેરિકામાં જ્વેલરીની માંગ ઘટશે અને સોનાના ભાવ વધતા સ્થાનિક મંદી આવશે. ફાર્મા ક્ષેત્રે ‘એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ’ (API)ની આયાત મોંઘી થતા દવાઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે.
લોજિસ્ટિક્સ: કંડલા, મુદ્રા અને પીપાવાવ પોર્ટ પરથી થતા પરિવહનને અસર પહોંચતા વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે.
પ્રવાસન અને ફસાયેલા ગુજરાતીઓની સ્થિતિ
યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ થતા પ્રવાસન ઉદ્યોગ સંકટમાં મુકાયો છે. આર્થિક નુકસાન થઇ રહ્યું છે. જો યુદ્ધ વધુ 15 દિવસ ચાલશે, તો ટુર ઓપરેટરોને ₹50 કરોડનું નુકસાન થઈ શકે છે. હાલમાં રિફંડ અને બુકિંગ કેન્સલેશન માટે એજન્સીઓ પર દબાણ વધી રહ્યું છે.
વિદેશમાં અટવાયેલા પ્રવાસીઓ: અંદાજે 3000 ગુજરાતીઓ દુબઈ, શારજાહ અને અબુધાબીમાં અટવાયા છે. હોળી-ધૂળેટીના વેકેશનમાં ગયેલા આ પ્રવાસીઓને પરત લાવવા સરકાર માટે પડકાર છે.
ઓમાનમાં તબીબોની ટુકડી: અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ જીજ્ઞેશ શાહ અને ૧૦ ડૉક્ટરો સહિત ૪૪ ગુજરાતીઓ ઓમાનમાં ફસાયા છે. તેઓ ૪થી માર્ચે પરત આવવાના હતા, પરંતુ હવે ૫મી માર્ચ સુધીમાં પરત ફરે તેવી સંભાવના છે.
આમ, ભૌગોલિક રીતે દૂર હોવા છતાં, આ યુદ્ધ ગુજરાતના વેપાર-રોજગાર અને સામાન્ય નાગરિકોના જનજીવન પર ગંભીર અસર કરી રહ્યું છે.










