![]()
India-Canada Relations : કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કેનેડામાં ભારતના નવા હાઈ કમિશનર દિનેશ કે.પટનાયકે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કેનેડામાં ભારતીયોને સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘ભારતીય નાગરિકો કેનેડામાં પોતાને અસુરક્ષિત હોવાનું અનુભવી રહ્યા છે.’
કેનેડામાં કેટલાક લોકોનું ગ્રૂપ ડરાવી રહ્યું છે : હાઈ કમિશનર પટનાયક
નવા હાઈ કમિશનરે કહ્યું કે, ‘મને એ કહેવું વિચિત્ર લાગી રહ્યું છે કે, અહીં મારે પોતાને સિક્યોરિટીની જરૂર હોવાનું હું અનુભવી રહ્યો છું. કેટલાક કેનેડીયનો આવી સમસ્યા ઉભી કરી રહ્યા છે. જોકે તે ભારતીયોની સમસ્યા નથી, કેનેડાની સમ્સયા છે.’ તેમણે કોઈપણ ખાલિસ્તાની આતંકવાદી ગ્રૂપનું નામ બોલ્યા વગર કહ્યું કે, ‘કેટલાક લોકોનું ગ્રૂપ વાસ્તવમાં ડરાવી રહ્યું છે, જેના કારણે ભારત-કેનેડાના સંબંધો પર અસર પડી રહી છે.’
કેનેડામાંથી ભારતીયોને ડિપોર્ટ કરવાની સંખ્યામાં વધારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાંથી ભારતીય નાગરિકોને બળજબરીથી બહાર કાઢવાના કેસોમાં જબરદસ્ત વધારો થયો છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA)ના ડેટા મુજબ, આ વર્ષે આ આંકડો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. 28 જુલાઈ-2025 સુધીમાં કેનેડામાંથી 1891 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરાયા છે, જ્યારે 2019માં આ સંખ્યા માત્ર 625 હતી. આ સાથે જ કેનેડામાંથી ડિપોર્ટ કરાયેલા લોકોની યાદીમાં ભારત મેક્સિકો પછી બીજા સ્થાને છે.
આ પણ વાંચો : ટેરિફ વોર વચ્ચે ચીને અમેરિકાને વધુ એક ઝટકો આપ્યો, હવે શું કરશે ટ્રમ્પ?
ડિપોર્ટની યાદીમાં ભારત બીજા ક્રમાંકે
કેનેડામાંથી જુલાઈ-2025માં સૌથી વધુ મેક્સિકોના 2678 લોકોને ડિપોર્ટ કરાયા છે, ત્યારબાજ બીજા ક્રમાંકે ભારત છે, જેમાં 1891 ભારતીયોનો દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ પહેલા વર્ષ 2024માં કેનેડા તંત્રએ ભારતના 1997, મેક્સિકોના 3683 અને કોલંબિયાના 981 લોકોનો દેશનિકાલ કર્યો હતો.
ભારતીયોને કેમ ડિપોર્ટ કરાઈ રહ્યા છે?
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ તાજેતરમાં જ કહ્યું છે કે, તેમની સરકાર વિદેશી ગુનેગારોને તેમના દેશમાં પાછા મોકલવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ટ્રેકિંગમાં સુધારા કરવા અને વધુ સારા સંસાધનો ફાળવવાની યોજના છે. આ પહેલ કેનેડાની ઈમિગ્રેશન સિસ્ટમમાં થઈ રહેલા સુધારાઓનો એક ભાગ છે.
તાજેતરમાં જ આઠ ભારતીયોની ધરપકડ કરાઈ
તાજેતરમાં 450 પાર્સલોની કથિત ચોરીના આરોપમાં આઠ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં સુમનપ્રીત સિંહ, ગુરદીપ ચઠ્ઠા, જશ્નદીપ જટ્ટાણા, હરમાન સિંહ, જસનપ્રીત સિંહ, મનરૂપ સિંહ, રાજબીર સિંહ અને ઉપિંદરજીત સિંહનો સમાવેશ થાય છે. પીલ રિજનલ પોલીસે 10 ઓક્ટોબરે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, તેઓ કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી સાથે મળીને સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે. અમેરિકાની વાત કરીએ તો, યુએસ ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના 2024ના ડેટા મુજબ 2024માં 1529 ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા.
આ પણ વાંચો : FTA ફળ્યું… બ્રિટનની 72% કંપનીઓ ભારતમાં રોકાણ-વેપાર કરવા આતૂર, 13% કંપની 12 મહિનામાં કરશે એન્ટ્રી










