| ફોટો સોર્સ: air india/x |
Air India hikes Fuel Surcharge: અમેરિકા ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર એરલાઈન કંપનીઓ પર પડી છે ત્યારે એર ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આજે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. ખાડી દેશોમાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય સ્થિતિને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ/વિમાનનું બળતણ (ATF) ના ભાવમાં થયેલા તોતિંગ વધારાને પગલે કંપનીએ ભાવ વધારાનો નિર્ણય લીધો છે. જેની સીધી અસર હવે મુસાફરો પર પડશે. આ નિર્ણય બાદ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટના મુસાફરોને ટિકિટ માટે 400થી લઈને 4 હજાર રૂપિયાથી વધુ સુધી વધારાની કિંમત ચૂકવવી પડશે. વધારો ત્રણ અલગ-અલગ તબક્કામાં લાગુ કરવામાં આવશે.
કેમ અચાનક વધારો કરવામાં આવ્યો?
એર ઇન્ડિયા એરલાઇનના જણાવ્યા મુજબ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે માર્ચ 2026માં વિમાનના ફ્યુઅલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એરલાઇનના સંચાલન ખર્ચના લગભગ 40% હિસ્સો ધરાવે છે, જેના કારણે ફ્યુઅલ સરચાર્જ વધારી ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
ક્યારથી લાગુ થશે નવા દર?

તબક્કો 1 (12 માર્ચ 2026)થી લાગુ
–સ્થાનિક (ભારત): અત્યાર સુધી કોઈ સરચાર્જ નહોતો, હવે 399 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
-SAARC દેશો: અત્યાર સુધી કોઈ સરચાર્જ નહોતો, 399 રૂપિયાનો વધારો.
-પશ્ચિમ એશિયા/મિડલ ઈસ્ટ: USD/ડોલર 10નો વધારો. (અંદાજિત 900 રૂપિયા)
-દક્ષિણ પૂર્વ એશિયા: કુલ સરચાર્જ વધીને USD 60 થશે. (અંદાજિત 5400 રૂપિયા), પહેલા કરતાં 20 ડોલરનો વધારો
-આફ્રિકા: કુલ સરચાર્જ વધીને USD 90 થશે. (અંદાજિત 8,200 રૂપિયા), પહેલા કરતાં 30 ડોલરનો વધારો
તબક્કો 2 (18 માર્ચ 2026)થી લાગુ
યુરોપ: સરચાર્જ વધીને USD 125 થશે. અંદાજિત 11,000 રૂપિયા, પહેલા કરતાં 25 ડોલરનો વધારો
ઉત્તર અમેરિકા: સરચાર્જ વધીને USD 200 થશે. (અંદાજિત 18,000 રૂપિયા), પહેલા કરતાં 50 ડોલરનો વધારો
ઓસ્ટ્રેલિયા: સરચાર્જ વધીને USD 200 થશે. (અંદાજિત 18,000 રૂપિયા), પહેલા કરતાં 50 ડોલરનો વધારો
તબક્કા 3ની તૈયારી
કંપની તબક્કા ત્રણની પણ તૈયારી આદરી દીધી છે, જેમાં હોંગકોંગ, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દૂર પૂર્વના દેશો માટેના નવા દરોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
કોને અસર નહીં થાય?
એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે જે મુસાફરોએ નિર્ધારિત સમય મર્યાદા પહેલા ટિકિટ બુક કરાવી લીધી છે, તેમને આ વધારાનો બોજ સહન કરવો પડશે નહીં. જોકે, જો મુસાફર તેમની મુસાફરીની તારીખ કે રૂટમાં ફેરફાર કરાવશે, તો તેમને નવા દરો મુજબ ચાર્જ ચૂકવવો પડશે. નોંધનીય છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસ, જે અત્યાર સુધી કોઈ ફ્યુઅલ સરચાર્જ લેતી ન હતી, તેના પર પણ હવે આ નવા નિયમો લાગુ થશે.










