![]()
મુંબઈ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે વિવિધ ંખાદ્યતેલોના ભાવમાં બેતરફી સાંકડી વધઘટ દેખાઈ હતી. નવી માગ ધીમી હતી. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર વિષયક તણાવ હળવો થતાં તથા ચીન દ્વારા અમેરિકા ખાતેથી સોયાબીનની ઈમ્પોર્ટ ફરી શરૂ કરતાં અમેરિકાના કૃષી બજારોમાં સોયાબીનના ભાવ ઝડપી ઉછળતા જોવા મળ્યા હતા.
ઘરઆંગણે સૌરાષ્ટ્ર- ગોંડલ ખાતે સિંગતેલના ભાવ વધી રૂ.૧૩૭૫થી ૧૪૦૦ રહ્યા હતા. જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૧૨૫૦ તથા કોટન રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૯૦થી ૧૨૯૫ રહ્યા હતા. મગફળીના ભાવ ગોંડલ ખાતે ૨૦ કિલોના જાતવાર રૂ.૯૫૦થી ૧૨૫૦ રહ્યા હતા જ્યારે રાજકોટ ખાતે ભાવ જાતવાર રૂ.૯૫૦થી ૧૧૭૫ રહ્યાના નિર્દેશો હતા.
દરમિયાન, ભારતમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કરતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આવી ટેરીફ વેલ્યુ ક્રૂડ પામ ઓઈલમાં ૧૧૨૩ વાળા ૧૧૧૩ ડોલર કરવામાં આવી છે જ્યારે આરબીડી પામ ઓઈલની ૧૧૪૮થી ઘટી ૧૧૪૨ ડોલર તથા આરબીડી પામોલીનની ૧૧૫૨ વાળી ૧૧૪૮ ડોલર કરાઈ છે.
જોકે સોયાતેલની આવી ટેરીફ વેલ્યુ સરકારે ૧૧૮૭ ડોલરના મથાળે જાળવી રાખી હોવાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, આંધ્રપ્રદેશ તથા તેલંગણામાં તાજેતરમાં ભારે વરસાદ તથા વાવાઝોડાના પગલે કોટન, ડાંગર, સોયાબીન તથા મકાઈના પાકને નોંધપાત્ર નુકસાન થયાના સમાચાર મળ્યા હતા.
મુંબઈ બજારમાં આજે દિવેલના હાજર ભાવ ૧૦ કિલોના રૂ.ત્રણ ઘટતાં હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૫ નરમ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ સોયાખોળના રૂ.૧૦૦૦થી ૧૧૦૦ વધ્યા હતા જ્યારે સિંગખોળના ભાવ ટનના રૂ.૫૦૦ ઉંચકાયા હતા સામે સનફળાવર ખોળના ભાવ ટનના રૂ.૫૦૦ નરમ રહ્યા હતા.










