![]()
Pawan Khera: ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધને કારણે હોર્મૂઝની ખાડી બંધ હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સંકટની ઘડી સર્જાઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડી દીધી છે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડીને 3 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે. હવે કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકાર પર પ્રહાર
શુક્રવારે, કોંગ્રેસે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘ડીલરો અને ગ્રાહકો બંને માટે ભાવ એકસમાન છે. રાહત માત્ર કહેવાની વાત છે, વાસ્તવિકતામાં કોઈ રાહત નથી મળી. સરકારે ગ્રાહકોને વાસ્તવિક રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’
ડીલર અને ગ્રાહકો માટે સમાન કિંમત
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં પવન ખેરાએ કહ્યું કે, ‘જો તમે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા વિશેના સમાચાર વાંચીને એવું વિચારતા હોવ કે સરકારે તમારા ખિસ્સાને રાહત આપી છે, તો તમે ખોટા છો અને તમારે ખુશ થવાની જરૂર નથી. હજું પણ ડીલરો અને ગ્રાહકો બંને માટે કિંમતો સમાન જેવી છે.’
તેલ કંપનીઓને છૂટ આપવામાં આવી
પવન ખેરાએ આગળ કહ્યું કે, ‘વાસ્તવિક ઘટાડો “સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી” પર આવ્યો છે, જે તેલ કંપનીઓ દ્વારા સરકારને ચૂકવવામાં આવતી ફી છે. ”સ્પેશિયલ” અને ”એડિશનલ” શબ્દો પોતે જ દર્શાવે છે કે આ ટેક્સ કેટલો બિનજરૂરી છે.’
કોંગ્રેસ નેતાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા બાદથી ઓઇલ કંપનીઓ નુકસાનનો સામનો કરી રહી છે. સરકારે હવે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને તે બોજનો એક નાનો હિસ્સો શેર કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.’
સરકારે ગ્રાહકોને વાસ્તવિક રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
સરકાર પર નિશાન સાધતા પવન ખેરાએ કહ્યું કે, ‘હાલમાં સરકારનું આ પગલું માત્ર કહેવાની વાત છે, વાસ્તવિકતામાં નથી. હેડલાઇન્સ બનાવવા અને લોકોને મૂર્ખ બનાવવાને બદલે સરકારે ગ્રાહકોને વાસ્તવિક રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’
આ પણ વાંચો: ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો
પેટ્રોલ-ડીઝલ પર સરકારે શું કહ્યું?
– સરકારે ગુરુવારે કહ્યું કે, દેશમાં લગભગ 60 દિવસનો ઓઇલ ભંડાર છે અને એક મહિનાના LPG પુરવઠાની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
– સરકારે અછતના અહેવાલોને ગભરાટ ફેલાવવા અને ખરીદીને પ્રોત્સાહન આપવાના હેતુથી ઇરાદાપૂર્વકની ખોટી માહિતી આપતી ઝુંબેશ ગણાવી છે.
– જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ પણ કહ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ અથવા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ(LPG)ની કોઈ અછત નથી અને પુરવઠો સ્થિર છે.
– પેટ્રોલ પંપ માલિકોની કાર્યકારી મૂડીની સમસ્યાઓને કારણે કોઈપણ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછત ન રહે તે માટે પેટ્રોલ પંપોને આપવામાં આવતી લોનની રકમ અગાઉની એક દિવસની પરવાનગીથી વધારીને ત્રણ દિવસથી વધુ કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે.










