![]()
Ahmedabad News : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરમાં 9 જુલાઈ 2025ના રોજ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં 20 લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાને લોકો હજુ ભુલ્યા નથી, તેવામાં AAP નેતાએ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પર આવેલા બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે.
AAP નેતા યુવરાજસિંહે ભાટ સર્કલ નજીક બ્રિજનો વીડિયો સોશિયલ મીડિયામાં જાહેર કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. AAP નેતાએ ગંભીર આક્ષેપ કર્યા છે કે, ‘અમદાવાદના એસ.પી રિંગરોડ પર આવેલા ભાટ બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં છે. બ્રિજ પરની માટી, સળિયા બહાર આવી ગયા છે અને ઘણી જગ્યાએતો બ્રીજની નીચેની નદી દેખાય છે. મોરબી અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ બાદ પણ ભાજપ સરકારમાં જરાય ગંભીરતા આવી નથી. આખરે ક્યાં સુધી ગુજરાતના લોકો ભાજપના ભ્રષ્ટાચારના કારણે પોતાના જીવ ગુમાવતા રહેશે?’
આ પણ વાંચો: ‘તાત્કાલિક સહાય આપો…’, 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરી
તેમના જણાવ્યા મુજબ, ‘ભાટ સર્કલ નજીક સુઘડ ગામ જતા સાબરમતી નદી પરનો બ્રિજ હવે સમય બોમ્બ બની ગયો છે. લોખંડ અને સિમેન્ટની જગ્યાએ હવે ફક્ત ‘ભ્રષ્ટાચાર’ જ ટક્યો છે! 2022માં AMC અને AUDA દ્વારા આ બ્રિજના સમારકામ માટે રૂ.72 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી. પણ પ્રશ્ન એ છે કે, પૈસા બ્રિજમાં ગયા કે ભાજપના ભ્રષ્ટ નેતાઓ, લાંચિયા અધિકારીઓ અને કટકીબાઝ કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં? આ બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે…’










