![]()
– હાઇકોર્ટના મિનિમમ પે સ્કેલના હુકમનું ખોટું અર્થઘટન
– 2020 થી ચુકવાયેલ કરોડોના વધારાના ભથ્થાની રકમ 15 દિવસમાં ભરપાઇ કરવા ચીફ ઓફીસરે નોટિસ કાઢી
ગારિયાધાર : ગારિયાધાર નગરપાલિકામાં ૧૩ રોજમદાર કર્મચારીઓએ હાઇકોર્ટમાં કાયમી સાથે પગાર વધારાની માંગણી કરી હતી. જે અંગે મીનીમમ પે સ્કેલનો હુકમ આવ્યો હતો પરંતુ વર્ષ ૨૦-૨૧ના સમયના સત્તાધિકારીઓ દ્વારા ચુકાદાનું ખોટુ અર્થઘટન કરી આ ૧૩ કર્મચારીઓને કાયમી જેટલો અને વધારાના ભથ્થાનો લાભ આપવાનું શરૂ કર્યું હતું. જે બાબતે પ્રાદેશિક કમિશનર કચેરીમાં ફરિયાદ અને તપાસ બાદ આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું અને હાલના ચીફ ઓફીસર દ્વારા આ તમામ ૧૩ કર્મચારીને દિવસ ૧૫માં વધારે મેળવેલ તમામ રકમ પરત જમા કરાવવા નોટિસ આપી હતી.
ગારિયાધાર નગરપાલિકા પાસે રોડના થીગડા કરવાના પૈસા ન હોવાનું ગાણુ ગવાઇ રહ્યું છે ત્યારે બીજી તરફ કરોડોની લ્હાણી ૨૦૧૨થી ચાલી રહી છે અને તે પણ નિયમ વિરૂદ્ધ વાત થાય છે. ગારિયાધારના ૧૩ રોજમદાર કર્મચારીઓની નગરપાલિકાના આ ૧૩ જેટલા રોજમદાર કર્મીઓ દ્વારા ૨૦૧૨માં હાઇકોર્ટમાં પગાર વધારવાની માંગણી સાથે કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં હાઇકોર્ટ દ્વારા ૨૦૨૦માં આ રોજમદાર કર્મચારીઓને સરકારના નિયમ પ્રમાણે મિનિમમ પે સ્કેલ ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ જે-તે સમયના જવાબદાર સત્તાધિકારી દ્વારા આ હુકમનું ખોટુ અર્થઘટન કરી પગારની સાથો સાથ વિવિધ ભથ્થા અને ઇજાફાનો પણ લાભ આપવાનું શરૂ કરી દેવાયું હતું. જો કે, આ મામલે સ્થાનિક ધારાસભ્ય દ્વારા નગરપાલિકામાં રજૂઆતો કરાઇ હતી અને અંતે પ્રાદેશિક કમિશનર કચેરી અને જિલ્લા સંકલન સમિતિ સામે રજૂઆતો થઇ હતી. જે અંગે પ્રાદેશઇક કમિશનર દ્વારા સઘળી બાબતે તપાસ કરતા ગારિયાધાર નગરપાલિકા કચેરીએ ખોટુ અર્થઘટન કરીને આ કર્મચારીઓએ પગાર લીધો હોવાનું પુરવાર થવા પામ્યું હતું. જે વધારાની ચુકવાયેલ રકમની રીકવરી કરવા હુકમ કરાયો હતો. આ હુકમના પગલે હાલના ચીફ ઓફીસર દ્વારા મહેશ કાનજીભાઇ જોષી, અલ્પેશ ગેમલભાઇ રાઠોડ, રાકેશ રમેશભાઇ વાજા, પ્રવિણ ગોબરભાઇ વાઘેલા, સ્વ.લાભશંકર રામશંકર મહેતા, જીતેન્દ્ર ચંપકભાઇ ભટ્ટ, નજીર કાસમભાઇ પઠાણ, રમેશ મોહનભાઇ મકવાણા, લાખા ઉકાભાઇ સોલંકી, રાકેશ લખમણભાઇ વણજારા, અરવિંદ પુનાભાઇ મકવાણા, પ્રવિણ ધુડાભાઇ કંટારીયા, દુલા શામજીભાઇ ધરણીયાને ગઇ તા.૩૦ ઓક્ટો.ના રોજ નોટિસ ઇસ્યુ કરી ચુકવાયેલ વધારાના પગારની રીકવરીની રકમ દિવસ-૧૫માં કચેરીમાં ભરપાઇ કરવા જણાવાયું છે. એક રીતે આ વધારાના ભથ્થા પેટે રીકવરીનો આંક બેથી અઢી કરોડને આંબે તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. આમ ઓન પેપર જે તે સમયના સત્તાધિકારીઓ દ્વારા મેળાપીપણુ કરી દલા તલવાડી વાળી કરી મસમોટુ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
હું તો આજે જ હાજર થયો છું વિગતોથી અવગત નથી : ચીફ ઓફીસર
ગારિયાધાર નગરપાલિકાના ૧૩ રોજમદાર કર્મચારીઓને કોર્ટના ચુકાદાનું ખોટુ અર્થઘટન કરી વધારાના ભથ્થા અને ઇજાફાનો લાભ વર્ષ ૨૦૧૨ આપવામાં આવ્યો હતો. જેના પરથી પરદો ઉઠવા પામ્યો હતો. ત્યારે આ અંગે નગરપાલિકાના હાલના ચીફ ઓફીસર સંદિપ પટેલે જણાવ્યું હતું કે હું આજે જ હાજર થયેલ છું અને વિગતોથી અજાણ હોવાનું જણાવ્યું હતું.
ચુકાદાનું ખોટુ અર્થઘટન કરનાર સામે પગલા ભરાશે કે ઘીના ઠામમાં ઘી પડશે
હાઇકોર્ટ દ્વારા ૧૩ રોજમદારોને મીનીમમ પે સ્કેલ ચુકવવાના હુકમનું ખોટુ અર્થઘટન થયું હોવાનું સાબિત થવા પામ્યું છે ત્યારે જે-તે સમયે આ કારસ્તાન કરનાર જવાબદાર અધિકારી સામે તંત્ર એક્શન મોડમાં આવશે ? કરોડોની કાઢેલી રીકવરી આ કર્મચારીઓ ભરશે કે કેમ કે પછી ઘીના ઠામમાં ઘી પાડી દેવાશે તેવા અનેક સવાલ હાલ ચર્ચામાં રહેવા પામ્યા છે.










