Gandhinagar News : ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી અને પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીની ગુજરાત વીજ નિયમન પંચ (Gujarat Electricity Regulatory Commission-GERC)ના અધ્યક્ષ (ચેરમેન) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાજ્ય સરકારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં જણાવ્યું છે કે પંકજ જોષી આ પદનો કાર્યભાર સંભાળશે ત્યારથી તેમની નિમણૂક અમલમાં આવશે.

GERCએ રાજ્યના વીજ ક્ષેત્ર માટે એક મહત્ત્વપૂર્ણ નિયમનકારી સંસ્થા છે. આ પંચ રાજ્યમાં વીજળીના ટેરિફ (દરો) નક્કી કરવા, વીજ કંપનીઓના વહીવટ પર દેખરેખ રાખવા અને સમગ્ર ઊર્જા ક્ષેત્રમાં પારદર્શિતા જાળવવાની જવાબદારી નિભાવે છે.
આ પણ વાંચો: અમરેલીમાં SIRની કામગીરી દરમિયાન BLOને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા
પંકજ જોષી 1989 બેચના IAS અધિકારી છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં અધિક મુખ્ય સચિવ (ACS) તરીકે પણ સેવા આપી હતી. પંકજ જોષી ઓક્ટોબર 2025ના અંતમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયા હતા. તેમને ઊર્જા, મહેસૂલ, શહેરી વિકાસ અને શિક્ષણ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં કાર્યભાર સંભાળ્યો છે.










