![]()
Gujarat Jantri 2026 : ગુજરાતમાં જમીન અને મિલકતોના ભાવ નિર્ધારણ માટે મહત્વની એવી ‘જંત્રી’ના દરોમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળશે. મહેસુલ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયેલી નવી જંત્રીનો અમલ જાન્યુઆરી-2026ના મધ્ય અથવા અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં શરૂ કરી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
બજેટ સત્ર પહેલાં લેવાશે મહત્ત્વનો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પૂર્વે જ નવી જંત્રી અમલી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવી જંત્રી લાગુ થવાથી રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જમીન તેમજ મકાનોના સરકારી ભાવમાં વધઘટ થશે, જેની સીધી અસર રિયલ એસ્ટેટ માર્કેટ અને દસ્તાવેજ નોંધણી પર પડશે.
શા માટે ફરીથી નવી જંત્રી?
નોંધનીય છે કે, અગાઉ 13 એપ્રિલ-2023થી નવી જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી. જોકે, તેમાં અનેક વિસંગતતાઓ હોવાના સૂર ઉઠ્યા હતા અને ભારે વિરોધ થયો હતો. આ વિરોધને ધ્યાને રાખીને નવેમ્બર-2024માં ફરીથી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા હતા. લોકોના પ્રતિસાદ બાદ હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી દર નક્કી કરવામાં આવ્યા છે જેથી અન્યાયની શક્યતા ઓછી રહે.
લોકોનો પ્રતિસાદ કેવો રહેશે?
સરકાર દ્વારા જાન્યુઆરી માસમાં નવા દરો જાહેર કરવામાં આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ ‘વૈજ્ઞાનિક જંત્રી’ લોકોને કેટલી સ્વીકાર્ય છે. અગાઉના વિરોધને જોતા, આ વખતે મહેસુલ વિભાગે વાંધા-સૂચનોને કેટલી પ્રાધાન્યતા આપી છે તેના પર સૌની નજર ટકેલી છે. નવા દર જાહેર થયા બાદ જ જનતા અને બિલ્ડર લોબીનો મિજાજ જાણવા મળશે.










