![]()
મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ના ચોથા ત્રિમાસિક ગાળામાં દેશની ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) કંપનીઓ પર ઈરાન યુદ્ધની અસર પડી છે, પરંતુ ઘરઆંગણે સારા વેપારને કારણે વિદેશમાં મંદ વેચાણની અસર હળવી થઈ શકી છે. યુદ્ધ લાંબુ ચાલશે તો નવા નાણાં વર્ષમાં ઉત્પાદન ખોરવાઈ જવાની ચિંતા રહેલી છે.
સ્થિર બૃહદ્ આર્થિક વાતાવરણને કારણે એફએમસીજી કંપનીઓ માટે માર્ચ ત્રિમાસિકમાં વૃદ્ધિની ગતિ જળવાઈ રહી છે. માર્ચ ત્રિમાસિકમાં એફએમસીજીના ઘરઆંગણે વેચાણમાં ૮થી ૯ ટકા વૃદ્ધિ થયાનો અંદાજ મુકાઈ રહ્યો છે.
ઘરઆંગણે મજબૂત સ્થિતિને કારણે નિકાસ બજારમાં વેચાણમાં ઘટાડાની અસર ધોવાઈ ગઈ હતી. મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે દેશની એફએમસીજી કંપનીઓની નિકાસ ુપર અસર પડી છે.
અમારા વિદેશ વેચાણ ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં વેચાણ પર માર્ચમાં અસર પડી હતી. ફેબુ્રઆરીના છેલ્લા દિવસે યુદ્ધ શરૂ થયા બાદ માર્ચના પ્રારંભથી જ માગ તથા પૂરવઠા સાંકળમાં ખલેલ ઊભી થઈ હતી, એમ એક એફએમસીજી કંપનીના સેલ્સ મેનેજરે જણાવ્યું હતું.
જો કે લગ્નસરાની તથ તહેવારોની મોસમને પરિણામે માર્ચ ત્રિમાસિકમાં ઘરઆંગણે મજબૂત માગથી વિદેશ વેપારની પ્રતિકૂળ અસર ધોવાઈ ગઈ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
૨૦૨૫માં દેશમાં સારા ચોમાસાને કારણે ખરીફ તથા રવી મોસમના પાકપાણી સારા રહેતા ગ્રામ્ય સ્તરે રોજબરોજના વપરાશની ચીજવસ્તુઓની માગ ઊંચી રહેવા પામી હતી એમ અન્ય એક કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું.
યુદ્ધ લાંબુ ચાલશે તો નવા નાણાં વર્ષમાં નિકાસ વેચાણ પર અસર જોવા મળી શકે છે એટલું જ નહીં કાચા માલનો પૂરવઠો ખોરવાતા ઘરઆંગણે ઉત્પાદન પર અસર પડવાની શકયતા નકારાતી નથી.
યુદ્ધને કારણે ઘરઆંગણે ઈંધણનો પૂરવઠો ખોરવાઈ ગયો છે જેને પરિણામે મોટાભાગના ઉદ્યોગોમાં કામકાજ પર અસર પડયાનું જોવા મળી રહ્યું છે.










