![]()
Jamnagar Theft Case : જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં ગઈ રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિર તથા બે દુકાનોને નિશાન બનાવ્યા હતા. મંદિરની દાન પેટીમાંથી 6,000 ની રોકડ રકમ તથા એગ્રો સહિતની બે દુકાનોમાંથી પણ પરચુરણ ચોરી ગયા હતા. સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો કેદ થયા હોવાથી પોલીસે તેઓને પકડવા માટે કેટલાક શકમંદને ઉઠાવ્યા છે.
ચોરીના બનાવની વિગત એવી છે કે બજરંગપુર ગામમાં આવેલા મોમાઈ માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, અને મંદિરના તાળા તોડી અંદર રહેલી દાન પેટી માંથી રૂપિયા 6,000 ની પરચુરણ રકમની ચોરી કરી ગયા હતા.
આ ઉપરાંત બાજુમાં જ આવેલી સુખદેવભાઈ જીલુભાઈ બોરીચાની અનાજ કરિયાણાની દુકાન તેમજ બાજુમાં જ આવેલી દિનેશભાઈ ભીખાભાઈની એગ્રોની દુકાનનું શટર ઊંચકાવી અંદરથી પરચુરણ રકમ તેમજ એગ્રોની દવાની બોટલોની ચોરી કરી લઈ ગયા હતા.
આ બનાવ અંગે નિલેશભાઈ કિશોરભાઈ દસાડીયાએ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.આઇ. એન.એમ.શેખ અને તેઓની ટીમ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને સીસીટીવી કેમેરાની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મંદિર પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો કેદ થયા હતા, જેના વર્ણનના આધારે પોલીસે એક શકમંદને ઉઠાવ્યો છે, અને ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.










