![]()
Jamnagar Cholera Case : જામનગરમાં અચાનક કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે, અને એક સાથે 27 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતાં જ આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી છે. બીજી તરફ તંત્ર દ્વારા પાણીના નમૂના લેવા સહિતની આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે.
જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં 27 દર્દીઓ ઝાડા અને પેટની બીમારીની સારવાર માટે દાખલ થયા છે. હાલ હોસ્પિટલમાં તબીબો દ્વારા તેમના જરૂરી પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જો કે દર્દીઓના લેવાયેલા નમુનાનો રિપોર્ટ સોમવારે બપોર સુધીમાં આવવાની શક્યતા છે. ત્યારબાદ જ સતાવાર વિગતો જાહેર થશે.
ડોક્ટરના જણાવ્યા અનુસાર તમામ દર્દીના રોગના લક્ષણો કોલેરા જેવા જ હોવાનું જણાયું છે. આમ તેઓ કોલેરા ગ્રસ્ત બન્યા જ હોવાનું જણાઈ રહ્યું છે. હાલ 27 દર્દીઓ દાખલ છે, તેમાંથી સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓમાંથી મહત્તમ દર્દીઓ ધરાર નગર-1 ના વિસ્તારના હોવાનું જાણવા મળે છે. અમુક ધરાર નગર 2 ના પણ છે.
બીજી તરફ આ અંગેની જાણ થતાં જ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ દોડધામ કરી રહી છે. અને પીવાનું પાણી વહન કરતી પાઇપલાઇન લીકેજિંગ છે કે કેમ ? તેમજ ગટરના ગંદા પાણી પાઇપલાઇનમાં ઘુસી ગયા છે કે કેમ ? તે અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી આનુસંગિક કામગીરી પણ આરોગ્ય વિભાગે હાથ ધરી છે. ઉપરાંત ભૂગર્ભ ગટર શાખા અને સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા સફાઈ કામગીરી પણ કરવામાં આવી રહી છે.
સ્થાનિક વિસ્તારના લોકોના ઘરે ઘરે જઈને આરોગ્ય વિષયક ચકાસણી કરવામાં આવી રહી છે. અને જરૂરી દવાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ જામનગરનો ધરારનગર એકનો વિસ્તાર હાલ કોલેરાની ઝપટે ચડી ગયો છે. અને જો આવતીકાલે એટલેકે સોમવારે તમામ દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળશે તો આ વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવશે. તેમ પણ જાણવા મળે છે.










