Jamnagar News : જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવવા માટે મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પ્રતિદિન કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને શહેરના ખાસ કરીને વોર્ડ નંબર -5 સહિતના વિસ્તારો તથા અન્ય મુખ્ય માર્ગો પર અવિરત દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી રેકડી પાથરણાવાળાઓને દૂર કરાવવામાં આવી રહ્યા છે. આ સાથે તેઓના માલ સામાન જપ્ત કરવામાં આવી રહ્યા છે. આ મામલે સ્ટ્રીટ વેન્ડરોએ નારાજગી વ્યક્ત કરી છે અને રેલી કાઢીને DMCને આવેદનપત્ર પાઠવ્યું હતું.

એસ્ટેટ વિભાગની દબાણ હટાવવાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ
જામનગર શહેરમાં મ.ન.પા.ના એસ્ટેટ વિભાગની દબાણ હટાવવાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે (24 ડિસેમ્બર) સ્ટ્રીટ વેન્ડરોએ મોટી સંખ્યામાં રેલી કાઢીને જામનગર મહાનગર પાલિકાની કચેરીમાં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
આ સાથે સમગ્ર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(DMC)ને આવેદનપત્ર પાઠવીને ચીમકી ઉચ્ચારી હતી કે, કનડગત નહીં અટકે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો: જામનગર શહેરમાં છેલ્લા 58 વર્ષથી કાર્યરત એકમાત્ર કેથોલિક ‘સેક્રેડ હાર્ટ ચર્ચ’માં નાતાલના પર્વની ભવ્ય ઉજવણી
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા રહેવાના કારણે મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દબાણ હટાવ ઝુંબેશ ધરી રહી છે, અને કેટલાક રેકડી પાથરણાં વાળાઓના માલ સામાન પણ જપ્ત કરી લેવામાં આવે છે, જેમાં સ્ટાફ દ્વારા સ્ટ્રીટ વેન્ડર સાથે દૂર-વ્યવહાર કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સ્ટ્રીટ વેન્ડરો રેલી સ્વરૂપે મ.ન.પા.ની કચેરીએ પહોંચીને DMCને આવેદનપત્ર પાઠવીને જે લોકો વર્ષોથી વ્યવસાય કરે છે અને ટ્રાફિકને અડચણરૂપ નથી તેમને શાંતિથી ધંધો કરવા દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.










