![]()
બેફામ વાહન ચલાવનાર પર લગામ જરૂરી
મોડપર નજીક બાઇક અડફેટે વૃધ્ધ, જોગવડ પાસે ટેમ્પોની ઠોકરે શ્રમિક અને વાઘેડી પાસે અજાણ્યા વાહને કચડતાં યુવાનનું મૃત્યુ
જામનગર: જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનની હારમાળા સર્જાઇ હોય એમ ખંભાળિયા ધોરી માર્ગે કાલાવડ રોડ પર જુદા જુદા ત્રણ વાહન અકસ્માતોમાં ત્રણ વ્યક્તિ કાળનો કોળીયો બની છે, અને પોતાના જીવ ગુમાવ્યા છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
પ્રથમ બનાવ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર જોગવડ ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી રસ્તો ઓળંગી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ લાલપુર પંથકમાં રહેતા ગંગાસિંહ પાંખીસિંહ યાદવ (ઉ.વ. ૫૩)ને ટેમ્પો ચાલકે હડફેટમાં લઇ કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બીજો બનાવ જામનગર કાલાવડ રોડ પર મોડપર ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા વલ્લભભાઈ પ્રેમજીભાઈ ભંડેરી નામના ૬૭ વર્ષના ખેડૂતને બાઈક ચાલકે ઠોકરે ચડાવી હેમરેજ સહિતની ઈજા પહોંચાડતાં મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે પુત્ર કિશોરભાઈ ભંડેરીએ પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતનો ત્રીજો બનાવ જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી ચાલીને જઈ રહેલા ૪૦ વર્ષની વયના રસ્તે રઝળતા ભટકતા એક અજ્ઞાાત યુવાનને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખ્યો હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે તેને કચડી નાખનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.










