![]()
શહેરમાં રખડતાં શ્વાનોનો યમદૂતો જેવો આતંક : 3 માસમાં 1250 નાગરિકોને શ્વાનો કરડયાં હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા ભારે જન- રોષ
જેતપુર, : શહેરમાં રખડતાં શેરી શ્વાનોએ માજા મૂકી દીધી છે. અહી છેલ્લા ત્રણ માસમાં 1250 નાગરિકોને કૂતરાઓ કરડી જવા છતાં પાલિકાએ કોઈ જ પગલા ન લેતાં લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આજે અહી બે વર્ષની વયની બાળકી પર શ્વાને હુમલો કરી બચકાં ભરી લેતાં છ ટાંકા લેવા પડયા છે.
અહીંની આસોપાલવ સોસાયટીમાં ગોંદરા પાસે ઘરની બહાર રમતી ત્રિવા નામની એક બાળકી પર રખડતાં શ્વાને હુમલો કરતા લોહીલુહાણ થઈ ગઈ હતી. આ બાળકીના હાથમાં બચકા ભરી લેતાં સારવારમાં ખસેડી હતી જેને છ ટાકા લેવા પડયા હતા. આ ઉપરાંત બીજા એક નાગરિકને પણ શ્વાન કરડી ગયાનો બનાવ બન્યો છે.
શહેરમાં રખડતાં શ્વાનોનો ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે. વારંવારના હુમલાના બનાવમા બાળકો ટારગેટ બની જાય છે. આમ છતાં કૂતરાઓને પકડવાની કામગીરી કરવામાં આવતી નથી. હવે તો બાળકોને શેરીમાં રમવા કેમ જવુંં એ મોટી સમસ્યા થઈ પડી છે. બાળકીને શ્વાને બચકા ભરી લીધાના બનાવના વીડિયો શહેરમાં વાયરલ થયા છે. હવે તો લોકો કહે છે કે પાલિકા તંત્ર શ્વાનોનું વ્યંધીકરણ કરવા ઝુંબેશ ચલાવે તેમજ કરડતા કૂતરાઓને અન્યત્ર ખસેડવામાં આવે ેએવી માગણી થઈ છે.










