![]()
– કરમસદ-આણંદ મનપાના એસ્ટેટ વિભાગ કાર્યવાહી
– મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા ૧૮મી ડિસેમ્બરના રોજ નોટિસ આપવામાં આવી હતી
આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના ટીપી સ્કીમ નંબર-૧માં રોડ કપાતમાં આવતી ૨૦ જેટલી દુકાનોના બાંધકામ તોડી પાડીને ૫૦ ફૂટ પહોળો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ કામગીરીથી વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે. મનપા દ્વારા આ દબાણો દૂર કરવા માટે ગત તા. ૧૮મી ડિસેમ્બરના રોજ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
કરમસદ-આણંદ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ બુધવારે સવારે કાફલા સાથે મેદાને ઉતરી હતી. ટીપી સ્કીમ ૧માં મહાત્મા ગાંધી સર્કલથી ટૂંકી ગલીના નાકા સુધીના વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નંબર ૧૦૯/૧, ૧૦૯/૨ અને ૧૦૮ પૈકી રોડની કપાતમાં આવતા ગેરકાયદેસર બાંધકામો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. આ રોડ પરથી દરરોજ સરેરાશ ૩૦,૦૦૦થી વધુ લોકો અને વાહનોની અવરજવર રહે છે. રસ્તો સાંકડો હોવાને કારણે અહીં સતત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા. ૧૫.૨૪ મીટર (૫૦ ફૂટ)ના આ ટીપી રોડ પર દુકાનદારોએ દબાણ કરીને બાંધકામ કર્યું હોવાથી જાહેર જનતાને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે રસ્તો પહોળો થતા વાહનવ્યવહાર ઝડપી અને સરળ બનશે.
મહાનગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવા માટે ગત તા. ૧૮મી ડિસેમ્બરના રોજ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ હેઠળ દુકાનદારોને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસની સમય મર્યાદા પૂર્ણ થવા છતાં દબાણો સ્વેચ્છાએ દૂર ન કરવામાં આવતા એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.










