![]()
India Israel Trade Deal : અમેરિકાના ‘ટેરિફ વોર’ વિવાદ વચ્ચે ભારત અને ઈઝરાયલ વચ્ચે ટૂંક સમયમાં એક દ્વિપક્ષીય રોકાણ કરાર થઇ શકે છે. ભારતના આ નિર્ણયથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો લાગી શકે છે. મીડિયા અહેવાલ મજુબ, ઈઝરાયલના નાણા મંત્રી બેજેલેલ સ્મોટ્રિચ 8 થી 10 સપ્ટેમ્બર સુધી ભારતની 3 દિવસીય યાત્રા પર આવવાના છે. આ દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે આ કરાર થઇ શકે છે.
બંને દેશોના આર્થિક સંબંધ વધુ ગાઢ બનશે
ઈઝરાયલના નાણા મંત્રીની આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારત અને ઈઝરાયલ વચ્ચેના આર્થિક અને નાણાકીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ ઉપરાંત શક્યતા છે કે, બંને દેશો વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પણ થઇ શકે છે. જે બંને દેશોના વેપાર સહયોગને વધુ મજબૂત બનાવશે. સ્મોટ્રિચ ભારત મુલાકાત દરમિયાન ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ મુંબઇ અને ગાંધીનગર સ્થિત GIFT સિટીની પણ મુલાકાત લેશે.
ઈઝરાયલ સાથે થશે કરાર
સુત્રોના જણાવ્યા મુજબ, સ્મોટ્રિચ આ યાત્રા દરમિયાન વૈશ્વિક પડકારો વચ્ચે ઇઝરાયલના ભારત સાથેના વેપાર સંબંધો મજબૂત બનાવવા પર ભાર મૂકશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર અને મુક્ત વેપાર સમજૂતી જેવા પ્રમુખ કરારો પર હસ્તાક્ષર થઇ શકે છે.
શું લાભ થશે?
જો ભારત અને ઈઝરાયલ આ કરાર પર હસ્તાક્ષર કરે તો બંને દેશના રોકાણકારોને કાયદાકીય સુરક્ષા અને સ્થિરતાની ગેરંટી મળશે. આ સાથે જ વિવાદોના ઉકેલ માટે એક સ્વતંત્ર મધ્યસ્થતા મંચ પણ ઉપ્લબ્ધ થશે. નોંધનીય છે કે, વર્ષ 2000થી અત્યાર સુધીમાં ઇઝરાયલ 15થી વધુ દેશો સાથે આ કરાર પર હસ્તાક્ષર કરી ચૂક્યો છે. જેમાં UAE, જાપાન, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશ સામેલ છે.










