![]()
વડોદરા, તા.7 ટ્રેનોમાં અથવા રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓનો કિમતી સામાન તફડાવતા ત્રણ પરપ્રાંતિયોને પોલીસે ઝડપી પાડી ત્રણ ગુનાના ભેદ ઉકેલ્યા હતાં.
વડોદરા રેલવે સ્ટેશનના દક્ષિણ છેડે જેતલપુર બ્રિજ નીચે રેલવેના પાટા પાસે ત્રણ શખ્સો બેઠા છે જેઓ ટ્રેનોમાં ચોરી કરતા હોય છે તેવી માહિતી રેલવે એલસીબીને મળતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ત્રણ શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયા હતાં. ત્રણેના નામ પૂછતા પંકજસિંહ ઉર્ફે પવન લક્ષ્મીનારાયણ ઠાકુર (રહે.પેન્ડવાળી ગલી, તા.ગોવર્ધન, જિલ્લો, મથુરા, ઉત્તર પ્રદેશ), અજયસિંહ ઉર્ફે ફોગટિયો ભીખારામ મીણા (રહે.પુરા મહોલ્લો, ખુબનગર, તા.જિ. કરૌલી, રાજસ્થાન) અને બાતેખા ઉર્ફે રાજુ મુરૈના પાસમાનખા પઠાણ (રહે.રામપુર, તા.સબરગઢ, જિલ્લો મુરૈના, મધ્ય પ્રદેશ) જાણવા મળ્યું હતું.
ત્રણે શખ્સો પાસેથી રેલવે પ્રવાસીઓના ચોરી કરેલા ત્રણ મોબાઇલ અને રોકડ મળતા કબજે કરવામાં આવેલ. પોલીસ તપાસમાં ઝડપાયેલો અજયસિંહ નામનો શખ્સ વડોદરા, આણંદ, નડિયાદ, ભરૃચ અને વડોદરા રેલવે પોલીસના ૧૫ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો જણાયું હતું. ત્રણેની પ્રાથમિક પૂછપરછમાં દાહોદના બે તેમજ આણંદ જિલ્લાના એક ગુનાનો ભેગ ઉકેલાયો હતો.










