![]()
Delhi Fire: દિલ્હીના હાઈ-પ્રોફાઇલ વિસ્તાર ડૉ. બિશમ્બર દાસ માર્ગ પર આવેલા બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટ્સમાં આજે (18મી ઓક્ટોબર) બપોરે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ એપાર્ટમેન્ટ્સમાં મુખ્યત્વે રાજ્યસભાના સાંસદો નિવાસ કરે છે. સંસદ ભવનથી માત્ર 200 મીટરના અંતરે આ દુર્ઘટના સર્જાતાં સ્થાનિકો અને સુરક્ષા અધિકારીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે.
ફાયર વિભાગની તાત્કાલિક કાર્યવાહી
અહેવાલો અનુસાર, ફાયર વિભાગને બપોરે આગ લાગવાની માહિતી મળી હતી. સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ફાયર એન્જિન ઘટનાસ્થળે રવાના કર્યાં હતા. ફાયરની ટીમોએ તુરંત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, પંજાબના સરહિંદ સ્ટેશને દુર્ઘટના સર્જાઈ
આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ સરકારી ક્ષેત્ર માનવામાં આવે છે. આગના કારણે મોટી જાનહાનિના કોઈ પ્રાથમિક અહેવાલ નથી, પરંતુ આગનું કારણ હજુ સુધી સંપૂર્ણપણે જાણી શકાયું નથી. અગ્નિશામકો આગ પર કાબૂ મેળવવા અને નુકસાનનું આકલન કરવા માટે ઘટનાસ્થળે ખંતપૂર્વક કામગીરી કરી રહ્યા છે. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.










