![]()
– રાજ્ય સરકારના પ્રદૂષણ નિયંત્રણના દાવા પોકળ, એક્યુઆઈ ૪૩૦ નોંધાયો
– સ્મોગની ચાદર છવાતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણ રોકતી એન્ટી સ્મોગ ગન-સ્પ્રિંકલર ટેન્કર હજુ ટેન્ડર પ્રક્રિયામાં
નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સીના સ્તરે પહોંચી ગયું છે ત્યારે રાજ્ય સરકારના પ્રદૂષણ નિયંત્રણના દાવા પોકળ સાબિત થયા છે. દિલ્હીમાં રવિવારે પ્રદૂષણની ગુણવત્તાનો માપદંડ એક્યુઆઈ ૪૩૦ નોંધાયો હતો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. બીજીબાજુ પ્રદૂષણ રોકવા માટે રાજ્ય સરકારના પ્રયત્નો કાગળો સુધી જ મર્યાદિત રહ્યા છે. દિલ્હીમાં ધૂળ અને ધુમાડાનું સામ્રાજ્ય છે ત્યારે એન્ટી સ્મોગ ગનની તીવ્ર જરૂર છે, પરંતુ ટેન્ડરમાં વિલંબના કારણે એન્ટી સ્મોગ ગન ઉપલબ્ધ થઈ શકી નથી.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે રવિવારે સવારે હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં નોંધી હતી. આનંદ વિહારમાં એક્યુઆઈ ૪૩૦ નોંધાયો હતો, જે સૌથી ખરાબ છે. આ સિવાય વજીરપુરમાં ૪૦૬, આઈટીઓમાં ૩૨૯ એક્યુઆઈ નોંધાયો હતો. આ વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે હતી.
સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ (સીપીસીબી) મુજબ દિલ્હીના ૧૬ સ્ટેશનો પર એક્યુઆઈ ‘ખૂબ જ ખરાબ’ શ્રેણી (૩૦૦થી ઉપર)માં નોંધાયો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ ‘ખરાબ’ શ્રેણી (૩૦૦થી નીચે)માં નોંધાયો હતો. એ જ રીતે આશ્રમ ક્ષેત્રની તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજધાની પર ધુમાડાની ચાદર છવાઈ છે. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને રસ્તા પર ટ્રાફિક ધીમો ચાલી રહ્યો હતો. પ્રદૂષણના કારણે સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થતી હતી. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની અત્યંત ખરાબ સ્થિતિ હોવા છતાં પ્રદૂષણ ઘટાડવા માટેના પ્રયાસો અંગેના રાજ્ય સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. પીડબલ્યુડી, દિલ્હી નગર નીગમથી લઈને દિલ્હી નગર પાલિકા પરિષદમાં પ્રદૂષણ રોકવા અંગેના પ્રયત્નો માત્ર કાગળ પર જોવા મળ્યા છે.
છેલ્લા કેટલાક દાયકામાં દિલ્હીમાં શિયાળામાં પ્રદૂષણ વધતું હોવાના અનુભવ છતાં પ્રદૂષણ રોકતી એન્ટી સ્મોગ ગન હજુ સુધી રસ્તા પર ઉતારાઈ નથી. ક્યાંક એન્ટી સ્મોગ ગન માટે હજુ ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે અથવા જેમના ટેન્ડર થઈ ગયા છે ત્યાં સ્મોગ ગન હજુ રસ્તા પર પહોંચી નથી. પ્રદૂષણ નિયંત્રણના કામ સાથે સંકળાયેલા વિશેષ અધિકારીઓ આ બાબતને ભારે બેદરકારી માની રહ્યા છે. ધૂળનું પ્રદૂષણ નિયંત્રીત કરવા માટેની એન્ટી સ્મોગ ગન અને સ્પ્રિંકલર ટેન્કર હજુ દિલ્હીના રસ્તા પર ઉતર્યા નથી જ્યારે મંત્રીઓ આ ટ્રકો રસ્તા પર દોડતી હોવાનો દાવો કરી રહ્યા છે. આ પ્રકારની બેદરકારીના કારણે પ્રજામાં ભારે ગુસ્સો છે.










