![]()
– રાજધાની દિલ્હીમાં શીતલહેર જેવી પરિસ્થિતિ સર્જાઈ
નવી દિલ્હી : હિમાલયન બેલ્ટમાં થઈ રહેલી હિમવર્ષાએ દિલ્હીમાં ઠંડી વધારી દીધી છે. તેમા સોમવારનો વીતેલો દિવસ દિલ્હીમાં વર્તમાન સીઝનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ અને આ જ સમયગાળામાં છેલ્લા ૧૧ વર્ષનો સૌથી ઠંડો દિવસ હતો. દિલ્હીના લોધીરોડમાં લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રી નોંધાયુ અને આયાનગરમાં ૯.૪, પાલમમાં ૧૦.૯ અને રિજમાં લઘુત્તમ તાપમાન ૯.૫ નોંધાયુ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૦૧૧માં સમાન સમયગાળા દરમિયાન ૧૫.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિવસ આગળ વધતા સૂરજ ચઢતો ગયો, પરંતુ લોકોને દિવસે પણ ઠંડીનો અહેસાસ થતો હતો. ઠંડીની વર્તમાન સીઝનમાં દિલ્હીવાસીઓ પહેલી વખત ઠંડીથી ધૂર્જ્યા. આ દરમિયાન મહત્તમ તાપમાન ૨૭.૧ ડિગ્રી નોંધાયુ, જે સામાન્ય ડિગ્રીથી ૦.૭ ટકા ઓછું રહ્યું.
હવામાન ખાતા મુજબ લઘુત્તમ તાપમાન ૮.૭ ડિગ્રી નોંધાયુ હતુ, જે સરેરાશ તાપમાનથી ૩.૬ ડિગ્રી વધારે છે. દિલ્હીમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.આના પહેલા ૨૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ ૭.૩ ડિગ્રી સેલ્સિયસનું લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે ૨૦૨૩માં આ તાપમાન ૯.૨ ડિગ્રી સેલ્સિયસ અને ૨૦૨૪માં ૯.૫ ડિગ્રી સેલ્સિયસ હતુ.
દિલ્હીમાં તો હાલમાં શીતલહેર જેવી સ્થિતિ છે. જો કે ટેકનિકલ પરિભાષા મુજબ તેની જાહેરાત કરવામાં આવી નથી. તેનું કારણ એ છે કે લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે અને સામાન્યથી ૪.૫ ડિગ્રી નીચે હોવા બદલ શીતલહેર માનવામાં આવે છે. પણ આવુ કમસેકમ બે દિવસ રહેવું જોઈએ અને બે હવામાન કેન્દ્રો પર તે નોંધાવવું જોઈએ તો જ તેને શીતલહેર જાહેર કરવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૨૦ અને ૨૧ નવેમ્બરના રોજ ઉત્તર ભારતમાં શીતલહેર આવવાની સંભાવના છે.










