![]()
Chirag Paswan Slams Nitish Kumar Govt: ચિરાગ પાસવાને શનિવારે (26 જુલાઈ)એ એકવાર ફરી કાયદો અને વ્યવસ્થાને લઈને પોતાના જ સાથીદાર નીતિશ કુમારની સરકાર પર સવાલ ઊભા કર્યા છે. તેમણે બિહાર પોલીસ અને તંત્રને નકામું કહી દીધું. પાસવાન આટલેથી ન અટક્યા અને કહ્યું કે, ‘દુઃખ થાય છે કે, આવી સરકારનું સમર્થન કરી રહ્યો છું, જ્યાં ગુનાઓ બેલગામ છે.’
ચિરાગ પાસવાને શું કહ્યું?
બિહારના ગયામાં મહિલા ઉમેદવાર સાથે સામૂહિક દુષ્કર્મના કેસ પર ચિરાગ પાસવાન રોષે ભરાયા હતા અને તેમણે પોલીસ તંત્રને નકામું કહ્યું હતું. તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘બિહારમાં એક એકબાદ એક ગુનાઇત ઘટનાઓની હારમાળા બની રહી છે અને તંત્ર સંપૂર્ણપણે ગુનેગારો સામે નતમસ્તક જોવા મળી રહ્યું છે. હવે એવું લાગી રહ્યું છે કે, તંત્ર આ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. જો આવું જ ચાલતું રહ્યું તો આવનારા દિવસોમાં રાજ્ય માટે ખૂબ જ ભયાનક સ્થિતિ ઊભી થશે.’
આ પણ વાંચોઃ ધનખડની જગ્યાએ કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? 5 રાજ્યો પર ફોકસ, PMના પાછા ફરતાં જ થશે બેઠક
વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો પર ચિરાગ પાસવાને કહ્યું કે, ‘જો આપણે એવું માની લઇએ કે, આ ઘટનાઓ સરકારને બદનામ કરવા માટેનું ષડ્યંત્ર છે, તો પણ જવાબદારી તંત્રની જ છે.’
ચૂંટણી વર્ષમાં વધી રહ્યા છે ગુનાઃ ચિરાગ પાસવાન
જણાવી દઇએ કે, બિહારમાં વધતા ગુનાઓને લઇને હાલ ચિરાગ પાસવાન સક્રિય થઈ ગયા છે. તે એક નહીં અનેકવાર પોલીસ અને સરકારને સવાલ કરી ચુક્યા છે. આ પહેલાં પણ તેમણે કહ્યું હતું કે, પોલીસની જવાબદારી શું? ખબર જ નથી પડતી. ચૂંટણી વર્ષમાં વધી રહેલા ગુનાઓએ લોકોને પરેશાન કરી દીધા છે અને સરકારની છબી ખરાબ થઈ રહી છે.
આ પણ વાંચોઃ ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે આધાર કાર્ડ અસલી છે કે નકલી, તમે પણ શીખી લો આ ટ્રિક
હકીકતમાં, બિહારના પટના સહિત અનેક જિલ્લામાંથી હત્યા, લૂંટ અને દુષ્કર્મના સમાચાર સામે આવી રહ્યા છે. આ મહિને અસામાજિક તત્ત્વોએ પટનામાં ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. ત્યારબાદ થોડા દિવસો પહેલાં ગેંગસ્ટર ચંદન મિશ્રાની હોસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરાવી દેવાઇ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતાં, જેમાં પાંચ જેટલા લોકો હોસ્પિટલમાં ઘુસીને હત્યા કરતા જોવા મળે છે. હવે ગયામાં સામૂહિક દુષ્કર્મે સૌ કોઈને હચમચાવી દીધા છે, જેને લઈને ચિરાગ પાસવાન પણ આક્રામક અંદાજમાં જોવા મળી રહ્યા છે.










