![]()
અમદાવાદ,શનિવાર,6
સપ્ટેમબર,2025
અનંત ચતુર્દશીના દિવસે સવારથી જ અમદાવાદમાં વરસાદી વાતાવરણ
છવાયુ હતુ. સવારે ૬થી રાતના ૮ કલાક સુધીમાં ઉસ્માનપુરા અને જોધપુર વિસ્તારની સાથે
સરખેજ અને બાકરોલ વિસ્તારમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. બોડકદેવ, મેમનગર ઉપરાંત
પૂર્વમાં આવેલા ઓઢવ અને વિરાટનગર તથા કઠવાડા વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસી પડયો
હતો. સરેરાશ એક ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૩૬.૬૧ ઈંચ થવા પામ્યો હતો.સાબરમતી
નદીમાં સાંજના ૭ કલાકે ૨૧ હજાર કયુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.વાસણા બેરેજના ૨૭
દરવાજા ફ્રી ફલો ખોલી બેરેજનુ લેવલ ૧૨૬.૭૫
ફુટ કરવામાં આવ્યુ હતુ.દિવસ દરમિયાન વરસેલા ધીમી ગતિના વરસાદથી વાતાવરણમાં ઠંડક
પ્રસરી હતી.
શનિવારે વાદળ આચ્છાદીત આકાશની વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદની શરૃઆત થઈ
હતી.બપોરના બે કલાકથી શહેરના મોટાભાગના વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલા
આકાશમાંથી વરસાદ વરસતા શ્રીજીને ભાવભીની વિદાય આપવા નીકળેલા ભાવિકોએ વરસતા વરસાદ
સાથે જે તે વિસ્તારમાં આવેલા વિસર્જન કુંડ સુધી પહોંચવાની ફરજ પડી હતી.થલતેજ અને
મેમનગર વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી
વળ્યા હતા.ઉત્તરમાં આવેલા સરદારનગર અને હંસપુરા વિસ્તારમાં પણ એક ઈંચ જેટલો વરસાદ
વરસ્યો હતો.દક્ષિણમાં આવેલા મણિનગર વિસ્તારમાં ૨૮ મિલીમીટર જયારે લાંભામાં ૨૩
મિલીમીટર વરસાદ વરસ્યો હતો. કાલુપુર ઉપરાંત અસારવા અને દુધેશ્વર વિસ્તારમાં પોણો
ઈંચ વરસાદ વરસ્યો હતો.નર્મદા કેનાલમાંથી ૮,૧૫૮
કયુસેક તથા સંતસરોવરમાંથી ૧૮,૮૩૯
કયુસેક ઈનફલો નોંધાયો હતો.નદીમાં ૨૧,૮૯૩
કયુસેક આઉટફલો નોંધાયો હતો.વાતાવરણ જોતા શહેરીજનોની જે આશા હતી એ મુજબ વરસાદ
વરસ્યો નહતો.આમ છતાં શનિવારના વરસાદે શહેરના મોટાભાગના વિસ્તાર ઉપર મેઘ મહેર
વરસાવી હતી.
કયાં-કેટલો વરસાદ
વિસ્તાર વરસાદ(મિ.મી.)
ચકુડીયા ૧૮
ઓઢવ ૨૯
વિરાટનગર ૨૫
નિકોલ ૧૫
રામોલ ૨૧
કઠવાડા ૨૪
વસ્ત્રાલ ૧૯
પાલડી ૨૧
ઉસ્માનપુરા ૩૬
ચાંદખેડા ૧૭
વાસણા ૨૫
રાણીપ ૨૦
નવરંગપુરા ૧૯
મોટેરા ૨૨
બોડકદેવ ૨૭
સાયન્સ સિટી ૨૦
ગોતા ૧૪
થલતેજ ૨૭
મેમનગર ૨૫
સરખેજ ૩૧
જોધપુર ૩૨
બોપલ ૨૯
બાકરોલ ૪૦
દુધેશ્વર ૨૩
અસારવા ૨૩
નરોડા ૨૭
સરદારનગર ૨૬
હંસપુરા ૨૫
મેમ્કો ૨૦
મણિનગર ૩૦
વટવા ૨૪
લાંભા ૨૪
સરેરાશ ૨૪
સાબરમતી નદીમાં ૧.૨૨ લાખ કયુસેક પાણીની આવક નોંધાઈ
શનિવારે સાંજે ૭ કલાકે વાસણા બેરેજ ખાતે નદીનુ લેવલ ૧૨૬.૭૫
ફુટ નોંધાયુ હતુ.નર્મદા કેનાલમાંથી ૮૧૫૮ કયુસેક પાણીની આવક નોંધાઈ હતી.સંત
સરોવરમાંથી ૧૮૮૩૯ કયુસેક પાણીની આવક નોંધાઈ હતી.ધરોઈ ડેમમાંથી ૯૫૫૭૬ કયુસેક પાણીની
આવક નોંધાઈ હતી.આમ નદીમાં ૧.૨૨ લાખ કયુસેક પાણીની આવક નોંધાઈ હતી.વાસણા બેરેજમાંથી
નદીમાં ૨૧૮૯૩ કયુસેક પાણીની જાવક નોંધાઈ હતી.બેરેજના ૨૭ ગેટ ફ્રી ફલો ખોલવામાં
આવ્યા હતા.










