![]()
– સોશિયલ ક્લબથી કબ્રસ્તાન ચોકડી તરફ મોડી સાંજે મનપાની ટીમ ત્રાટકી
– ગંદકી બદલ દુકાનદારો પાસેથી ૨૫ હજાર વહીવટી ચાર્જ વસૂલી ફરી દબાણો ના કરવા સૂચના : નોનવેજની હાટડીઓથી દુર્ગંધ, આંખમાં બળતરાથી લોકો પરેશાન હતા
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાની દબાણ વિભાગની ટીમે વધુ એકવાર શહેરમાં સપાટો બોલાવ્યો છે. શહેરના સોશિયલ ક્લબથી કબ્રસ્તાન ચોકડી તરફના રોડ પર આવેલી દુકાનોના ગેરકાયદે ઓટલા અને શેડના ૨૦થી વધુ પાકા દબાણ સંપૂર્ણ પણે તોડી પડાયા છે. ગંદકી બદલ ૨૫ હજારનો દંડ પણ દુકાનદારો પાસેથી વસૂલ કરાયો છે. દબાણો ફરી ના કરવા માટે દુકાનદારોને સૂચના અપાઈ છે.
નડિયાદ મનપાના દબાણ વિભાગની ટીમના અધિકારી અને કર્મચારીઓ જેસીબી સહિતના વાહનો સાથે મોડી સાંજે સોશિયલ ક્લબ રોડ પર પહોંચ્યા હતા. જ્યાં આખા રોડ પર દુકાનદારો દ્વારા ગેરકાયદે ૧૫થી ૨૦ દુકાનોની બહાર ઓટલા બનાવી અને શેડ માર્યા હતા. તે તમામ શેડ દૂર કરાયા છે. તેમજ ઓટલાના દબાણો પણ જેસીબીથી તોડી નાખવામાં આવ્યા છે. દબાણ વિભાગ અને સેનેટરી વિભાગની ટીમે ગંદકી બદલ ૨૫ હજાર ઉપરાંતનો વહીવટી ચાર્જ દુકાનદારો પાસેથી વસૂલ કર્યો છે. આ રોડ પર દબાણનો કાયમી પ્રશ્ન હતો. મહાનગરપાલિકાના કમિશનરના ધ્યાને આ મુદ્દો આવ્યા બાદ તેમણે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. હવે પુનઃ દબાણો ના થાય તે માટે મનપાની ટીમે દુકાનદારોને તાકીદ કરી છે. ઉપરાંત સેનેટરી વિભાગના સેનેટરી ઈન્સપેક્ટર્સને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે. લાંબા સમયથી અહીં નોનવેજના દુકાનદારો દ્વારા દુકાનોની બહાર પોતાના સઘડી કાઢી અને બહાર જ નોનવેજ બનાવાતું હતું. મોડી સાંજે લોકોને અત્રેથી પસાર થવાનું હોય તેવા સમયે નોનવેજ બનાવવાનું ચાલુ હોવાથી આખા રોડ પર તેની દુર્ગંધ અને આંખોમાં બળતરા થતી હતી. ત્યારે તમામ સઘડી સહિત દુકાનદારોના રસોડા અંદર લેવડાવ્યા છે.
વાણિયાવાડ સર્કલ પાસે એક તરફનું દબાણ હજૂ યથાવત્
શહેરના સૌથી વ્યસ્ત વાણિયાવાડ સર્કલ પર ચોકડીની ત્રણ બાજુના દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો છે. જેમાં સર્કલથી કોલેજ રોડ, કિડ હોસ્પિટલ તરફ અને મહાગુજરાત તરફ જવાના રસ્તા ખુલ્લા કરાયા છે. પરંતુ સર્કલથી વાણિયાવાડની સોસાયટીઓ તરફ બંને સાઈડે દબાણો છે. વગદાર લોકોના દબાણ હોવાથી દૂર ના કરાતા હોવાની શહેરીજનોમાં બૂમ ઉઠી છે.










