![]()
– મેહીલે મહારાષ્ટ્ર ચેરિટિ કમિશ્નર સમક્ષ કેવિયેટ દાખલ કરીને પોતાને સાંભળવા જોઇએ એમ કહ્યું છે
– નાણાપ્રધાન અને ગૃહપ્રધાને આપેલી સલાહ શેઠની શિખામણ ઝાંપા સુધી જેવી સાબિત થઇ હતી
અમદાવાદ : ટાટા ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ તગડો નફો રળી રહી છે પરંતુ ગ્રુપના વહિવટમાં ચાલતા ડખા તેની ઇમેજ બગાડી રહ્યા છે. ટાટા ગ્રુપ અને ટાટા ટ્રસ્ટ એમ બે છાવણીમાં વહેંચાયેલું મેનેજમેન્ટ કાયદાના સાણસામાં જાણે અજાણે ઢસડાઇ રહ્યું છે. દેશના ટોપના બિઝનેસ ગ્રુપ ટાટામાં સુપ્રીમસી માટેનો જંગ વહેલો સમેટાઇ જાય તે માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને ગૃહપ્રધાન અમિત શાહે આપેલી સલાહ છતાં ગ્રુપ વિવાદમાં ઠસાડાયું હોઇ સરકારના ટોચના બે લોકોની સલાહ શેઠની શિખામણ ઝાંપા સુધીની સાબિત થઇ હતી.
મામલો પેચીદો એટલા માટે બન્યો છે કે મેહીલ મિસ્ત્રીએ મહારાષ્ટ્ર ચેરીટી કમિશ્નર સમક્ષ કેવિયેટ દાખલ કરીને પોતાને સાંભળવા જોઇએ એમ કહ્યું છે.
ટાટા ટ્રસ્ટમાંથી મેહિલ મિસ્ત્રીને દરુ કરીને નોએલ મિસ્ત્રીની છાવણી વધુ વિવાદમાં આવી છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન અને અન્ય તમામ ટ્રસ્ટીઓને પણ નોટીસ મોકલીને મેહિલ મિસ્ત્રીએ તેમને દુર કરવાના મામલાને પડકાર્યો છે.
ટાટા ટ્રસ્ટમાંથી મને દુર કરવામાં આવ્યો છે તેના પર કોઇ ઓર્ડર કરતાં પહેલાં મને સાંભળવો જરૂરી છે એવી કેવિયેટનું પગલું મેહિલ મિસ્ત્રીએ ભરતાંજ નોએલ મિસ્ત્રીની છાવણીમાં સન્નાટો મચી ગયો છે. હકીકતે તો મેહિલ મિસ્ત્રીએ તેમને ટ્રસ્ટમાંથી દુર કરવા ઓર્ડરને પડકાર્યો છે અને કહ્યું છે કે મને અન્યાય થયો છેે તેમજ મને દુર કરવા માટેના કોઇ નિયમોનું પાલન નથી કરાયું.
ટાટા ગ્રુપની કંપનીઓનો વહિવટ કરનાર ટાટા ગ્રુપનો ૬૬ ટકા હીસ્સો ટાટા ટ્રસ્ટ પાસે છે. કાયદાના નિષ્ણાતો કહે છે કે મેહિલ મિસ્ત્રીએ કેવિયટ કરીને પોતાનો પક્ષ મજબૂત બનાવ્યો છે. ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓના હકથી તે વંચિત રહ્યા છે એમ નિષ્ણાતો કહી રહ્યા છે અને ઉમેરે છે કે આ કાયદાકીય જંગ લાંબો ચાલશે.
લાંબા સમયથી ચાલતો વિવાદ ૨૮ ઓક્ટોબરે વધુ વકર્યો હતો. નોયેલ મિસ્ત્રી,ઉદ્યોગપતિ વેનુ શ્રિનિવાસન અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહ એમ ત્રણ ટ્રસ્ટીઓએ મેહિલ મિસ્ત્રીની ફેર નિમણૂકની સામે મત આપ્યો હતો. તેના કારણે મેહિલ ફરી ટ્રસ્ટી બની શકે એમ નહોતા.
હવે જ્યારે આ ટ્રસ્ટ મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટર થયેલું છે માટે તેમાં બોર્ડે કરેલા ફેરફારો માન્ય કરવા મોકલવા પડે છે. ચેરિટી કમિશ્નર મંજૂરી આપે પછીજ તે ફેરફાર અમલી બનાવી શકાય છે. એટલેજ મેહિલ મિસ્ત્રીએ કોઇ નિર્ણય લેતાં પહેલાં કેવિયેટ દાખલ કરીને પોતાને સાંભળવા કહ્યું છે.
જાણકારો કહે છે કે ટાટા ટ્રસ્ટમાં સત્તાના સમિકરણો પોતાની તરફ કરવાની કોલ્ડ વોર ઘણા સમયથી ચાલી આવે છે. કહે છે કે નોએલ ટાટાના કહેવાથી મેહિલને દુર કરવાની ગેમ રમાઇ હતી. રતન ટાટાના નિધન બાદ ચેરમેન તરીકે નોએલ ટાટા નિમાયા હતા. ટાટાગ્રુપમાં ૬૬ ટકા હીસ્સો ટાટા ટ્રસ્ટ પાસે હોઇ તેના પર પ્રભુત્વ રાખવા પ્રયાસ કરાયા હતા.
જ્યારે રતન ટાટા જીવતા હતા ત્યારે દરેક નિર્ણયો સર્વાનુમતે લેવાતા હતા પરંતુ તેમના નિધન બાદ પહેલીવાર વોટીંગે એન્ટ્રી લીધી હતી. લાંબા સમય સુધી બંને છાવણીઓ બાંધી મુઠી રાખીને બેઠી હતી અને પોતાને ત્યાં કોઇ વિવાદ નથી એમ કહ્યા કરતી હતી પરંતુ હવે જ્યારે મેહિલ મિસ્ત્રીએ કેવિયટ દાખલ કરી છે ત્યારે લોકો સમક્ષ વિવાદ ખુલ્લો પડી ગયો છે.









