![]()
દહેગામ અપહરણકાંડમાં નવો વળાંક
પોલીસ સમક્ષ નાટયાત્મક રીતે હાજર થયેલી યુવતીના નિવેદન બાદ હવે પોલીસ અપહરણની કલમ દૂર કરશે
ગાંધીનગર : દહેગામમાં પતિ સાથે રહેતી પત્નીનું તેના પિયરિયાઓ દ્વારા
અપહરણ કરી લેવામાં આવ્યું હોવા અંગે ગુનો દાખલ થયા બાદ હવે આ યુવતી નાટયત્મક રીતે
દહેગામ પોલીસ મથકમાં હાજર થઈ હતી અને નિવેદન આપ્યું હતું કે પતિ દ્વારા આપઘાત
કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવામાં આવતી હતી જેના પગલે તેણે જાતે જ પિયરિયાઓને લઈ
જવા કહ્યું હતું.
જિલ્લાના દહેગામ શહેરમાં રહેતી યુવતીના દોઢ વર્ષ અગાઉ
દહેગામમાં જ રહેતા યુવાન સાથે પ્રેમ લગ્ન થયા હતા અને શરૃઆતમાં તેઓ બહાર રહેતા હતા
અને છેલ્લા થોડા સમયથી તેઓ દહેગામ પરત કર્યા હતા. આ દરમિયાન જ યુવતીના પિયરીયાઓ
દ્વારા યુવાનના ઘરમાં બળજબરીથી ઘૂસીને તેણીનું કારમાં અપહરણ કરી લેવામાં આવ્યું
હતું. જે સંદર્ભે યુવાનની ફરિયાદના આધારે દહેગામ પોલીસ દ્વારા યુવતીના ચાર જેટલા
પિયરિયાઓ સામે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે બીજા દિવસે આ યુવતી
દ્વારા સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં તે તેની મરજીથી ગઈ
હોવાનું અને સાસરિયાંઓ દ્વારા તેણીને ગોંધી રાખવામાં આવી હોવાથી જાણ કરી બોલાવ્યા
હોવાનું કહ્યું હતું ત્યારે ગુનો દાખલ થયો હોવાથી પોલીસ પણ આ યુવતી અને આરોપીઓને
શોધી રહી હતી. આ દરમિયાન ગઈકાલે નાટયાત્મક રીતે આ યુવતી પોલીસ મથકમાં હાજર થઈ હતી
અને તેણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે,
સોશિયલ મીડિયા થકી યુવાનનો સંપર્ક થયા બાદ તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ
તે પતિ સાથે રહેવા માગતી ન હતી અને સાસરીયો દ્વારા તેણીને ત્રાસ આપવામાં આવતો હતો.
પતિ સુસાઇડ કરવાની ધમકી આપીને તેણીના બ્લેકમેલ કરતો હતો.
જેના કારણે સોશિયલ મીડિયા થકી તેના તેના ભાઈનો સંપર્ક કર્યો
હતો અને લઈ જવા માટે કહ્યું હતું. જેથી હવે યુવતીના નિવેદન બાદ પોલીસ અપહરણની કલમો
દૂર કરશે પરંતુ યુવાનના ઘરમાં બળજબરીથી પ્રવેશ કરવા અંગેની કલમો યથાવત રહેશે.










