![]()
સરકાર સંસદમાં મહત્વના બિલો રજુ કરવાની તૈયારીમાં
માત્ર 15 દિવસનું સત્ર અને એમાં પણ વિલંબ, સરકાર ચર્ચાથી દૂર ભાગવા માગે છે : વિપક્ષ
નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહ્યું છે. જે ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે અમે આશા રાખીએ કે આ સત્ર રચનાત્મક અને સાર્થક સાબિત થશે. જે આપણી લોકશાહીને મજબૂત કરીને આકાંક્ષાઓને પુરી કરશે. જ્યારે વિપક્ષે સમય મર્યાદા પર સવાલ ઉઠાવ્યો હતો.
આ શિયાળુ સત્રમાં વિપક્ષ મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરનો મુદ્દો ઉઠાવી શકે છે. ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ એસઆઇઆર પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે જેનો વિરોધ થઇ શકે છે. મતદાર યાદીમાં જે છબરડા છે તેને વિપક્ષ મુદ્દો બનાવી શકે છે.
જ્યારે બીજી તરફ દ્વારા આ શિયાળુ સત્રમાં કેટલાક મહત્વના બિલો પસાર કરવાનો પ્રયાસ થશે. જેમાં બંધારણના ૧૨૯માં અને ૧૩૦માં સંશોધન બિલ, જન વિશ્વાસ બિલ અને ઇનસોલ્વેંસી એન્ડ બેંકરપ્સી બિલ વગેરે પણ સામેલ છે. કેન્દ્રીય સંસદીય કાર્ય તેમજ લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે તેથી હવે આ શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી શરૂ થઇને ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે.
બીજી તરફ કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું હતું કે ઇરાદાપૂર્વક આ શીયાળુ સત્ર મોડુ શરૂ કરવામાં આવી રહ્યું છે, એટલુ જ નહીં તેની સમય મર્યાદા પણ બહુ જ ઓછી રાખવામાં આવી છે. સત્રમાં કામકાજના માત્ર ૧૫ દિવસ રહેશે. સરકાર શું સંદેશો આપવા માગે છે? સ્પષ્ટ છે કે સરકાર કોઇ પણ પ્રકારની ચર્ચા થવા દેવા નથી માગતી.










