![]()
ખોડીયારનગરમાં પાણીની લાઈન અને રસ્તા બન્ને જર્જરિત
કોર્પોરેટરે કહ્યું પાઈપલાઈન નાંખવાની હોવાથી રસ્તાકામ કરાતા નથી, હજુ એકાદ-બે વર્ષ લાગશે
રાજકોટ: રાજકોટના એક તરફ સ્થાયી સમિતિમાં અઢી વર્ષમાં ૧૧૧૧ કરોડના રસ્તાકામો મંજુર કરાયા છે, વોર્ડ નં.૧૩માં કૂલ રૂ।.૧૬ કરોડના ખર્ચે રસ્તાકામ નો દાવો છતાં આ વોર્ડ સહિત શહેરના અનેક સ્થળે રસ્તાના ઠેકાણા નથી અને પાઈપલાઈન પણ જર્જરિત છે. આજે વોર્ડ નં.૧૩ના ખોડિયારનગર, આંબેડકરનગર વિસ્તારની મહિલાઓએ ગોવર્ધન ચોક રીંગરોડ ઉપર રસ્તા ઉપર ઉતરીને ધોમધખતા તાપમાં આવતા જતા વાહનોને અટકાવીને ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ અંગે સ્થાનિક કોર્પોરેટર નિતીન રામાણીએ જણાવ્યું કે આ વોર્ડમાં અંબાજી કડવા, ગીતાનગર સહિત અનેક લત્તાઓમાં ગત બે વર્ષ દરમિયાન નવી પાઈપલાઈન નંખાઈ ગઈ છે, ખોડિયારનગર આંબેડકર વિસ્તારના આશરે ૧૨૦૦ મકાનધારકો માટે વીસ વર્ષ જુની સીમેન્ટની જર્જરિત પાઈપ બદલાવીને નવી ડી.આઈ. પાઈપલાઈન નાંખવાનું કામ હાથ ધરાનાર છે તે માટે ખોદકામ કરવા હાલ રસ્તા પર ડામરકાર્પેટ કરાઈ નથી. તેમણે સ્વીકાર્યું છે કે છેલ્લે ઈ.સ.૨૦૧૭માં આ વિસ્તારમાં ડામરરોડના કામ થયા હતા અને ત્યારબાદ નથી થયા. જુની પાઈપને કારણે પાણી અપુરતું મળતું હોવાની પણ ફરિયાદો છે.
એકંદરે વર્ષોથી પાકા રસ્તા નથી,પાણી પુરતું મળતું નથી , રસ્તા અને પાઈપ જર્જરિત ઉપરાંત ટીપરવાન, ડ્રેનેજ સહિત અનેકવિધ ફરિયાદો રહે છે જેથી આજે લોકરોષ રસ્તા ઉપર જોવા મળ્યો હતો. જો કે આ આંદોલન છતાં મનપાના શેડયુલ મૂજબ રસ્તાકામ થતા હજુ એકાદ-બે વર્ષ લાગે તેવીશક્યતા છે.










