![]()
– ટ્રમ્પ-પુતિનના વિવાદની પરાકાષ્ઠા
– પુતિન મોદી સાથે તેમની જ કારમાં એરપોર્ટ પરથી પીએમ નિવાસ પહોંચ્યા : રશિયન પ્રમુખે વડાપ્રધાન સાથે શાહી ડિનર કર્યું
નવી દિલ્હી : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ગુરુવારે સાંજે પાલમ એરપોર્ટ પર પહોંચતા લાલ જાજમ બીછાવી સ્વાગત કરાયું હતું. રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફના પડકારો વચ્ચે પ્રમુખ પુતિનનો આ પહેલો ભારત પ્રવાસ છે. વૈશ્વિક સ્તરે વિભાજિત ભૂ-રાજકીય વાતાવરણ અને તણાવ વચ્ચે પુતિનનો પ્રવાસ બંને દેશના આઠ દાયકાના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. પીએમ મોદીએ કહ્યું કે, રશિયા સાથે ભારતની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે. પુતિન અને પીએમ મોદી બંને દેશના દ્વિપક્ષીય વેપારને વાર્ષિક ૧૦૦ અબજ ડોલર સુધી લઈ જવા પર ભાર મૂકશે.
ભારત માટે રશિયન પ્રમુખ પુતિનના પ્રવાસનું મહત્વ એ બાબત પરથી જ સાબિત થઈ જાય છે કે તેમને આવકારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પાલમ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. તેમણે એરપોર્ટ પર ચાર વર્ષના સમય પછી ભારતમાં ગળે મળી પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પુતિને આ પહેલાં ૬ ડિસેમ્બર ૨૦૨૧માં ભારતનો પ્રવાસ કર્યો હતો. પીએમ મોદી અને પુતિન ગુરુવારે પાલમ એરપોર્ટથી એક જ કારમાં રવાના થયા હતા. ચીનના શહેર તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંસ્થાની બેઠકમાં પીએમ મોદી અને પ્રમુખ પુતિને એક જ કારમાં પ્રવાસ કર્યો હતો. તેના ત્રણ મહિના પછી ફરી એક વખત તેમણે સાથે પ્રવાસ કર્યો હતો.
ગયા વર્ષે જુલાઈમાં મોસ્કોમાં રશિયન પ્રમુખ પુતિને પીએમ મોદી માટે યોજેલા ભોજન સમારંભના બદલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રમુખ વ્લાદિમિર પુતિનના સન્માનમાં ગુરુવારે સાંજે તેમના નિવાસ સ્થાન પર પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યું હતું. પીએમ નિવાસમાં ડીનર પછી પ્રમુખ પુતિન આઈટીસી મૌર્યના વિશેષ પ્રેસિડેન્સિયલ સ્યૂટ ચાણક્યમાં રોકાયા હતા.
ભારત અને રશિયાના રણનીતિક સંબંધોને ૨૫ વર્ષ પૂરા થઈ રહ્યા છે તેવા સમયે પુતિન ભારતની મુલાકાતે આવ્યા છે. વર્ષ ૨૦૦૦માં પ્રમુખ પુતિન અને ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારી પર હસ્તાક્ષર કરીને તેની શરૂઆત કરી હતી.
પીએમ મોદી અને પુતિનની શુક્રવારની બેઠક પર અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સહિત પશ્ચિમી દેશોની નજર છે ત્યારે આ શિખર બેઠક ભારત-રશિયા વચ્ચે સંરક્ષણ સંબંધો વધારવા, બંને દેશના વેપારને વિદેશી દબાણથી દૂર રાખવા અને નાના મોડયુલર રીએક્ટર્સમાં સહકાર વધારવા પર કેન્દ્રિત હશે તેમ મનાય છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ ભારત પર દંડ સ્વરૂપે ૨૫ ટકા સહિત કુલ ૫૦ ટકા ટેરિફ નાંખતા ભારત અને અમેરિકાના સંબંધો કથળ્યા છે તેવી પૃષ્ઠભૂમિમાં રશિયન પ્રમુખનો ભારતનો ૨૭ કલાકનો પ્રવાસ ખૂબ જ મહત્વનો છે. આ શિખર બેઠકમાં બંને પક્ષો વેપાર સહિત વિવિધ ક્ષેત્રોમાં કેટલાક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરશે તેવી અપેક્ષા છે. રશિયન વાણિજ્ય મંત્રી એન્ટોન સિલુઆનોવે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત અને રશિયા વર્ષ ૨૦૩૦ સુધીમાં તેમનો દ્વિપક્ષીય વેપાર વાર્ષિક ૧૦૦ અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક હાંસલ કરશે.
હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને પ્રમુખ પુતિનની વાટાઘાટો પછી બંને પક્ષો અનેક કારારો પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે, જેમાં ભારતીય કામદારોને રશિયામાં રોજગારી પૂરી પાડવી અને સંરક્ષણ સહકારના વ્યાપક માળખા હેઠળ લોજિસ્ટિક સહયોગનો સમાવેશ થાય છે. રશિયામાંથી ભારતની વાર્ષિક ખરીદી ૬૫ અબજ યુએસ ડોલરે પહોંચી છે જ્યારે રશિયા ભારતમાંથી માત્ર પાંચ અબજ ડોલરની ખરીદી કરે છે. અધિકારીઓનું કહેવું છે કે ભારતે ખાતરના ક્ષેત્રમાં સહકાર વધારવા પર ધ્યાન આપ્યું છે. રશિયા ભારતને વાર્ષિક ૩૦થી ૪૦ લાખ ટન ખાતર પૂરું પાડી શકે છે.
ભારત અને રશિયાએ આ શિખર મંત્રણા પહેલાં રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ અને અન્ય શસ્ત્ર સરંજામ ખરીદવા પર પણ ચર્ચા કરી હતી. ઓપરેશન સિંદૂર સમયે એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ઘણી અસરકારક સાબિત થઈ હતી. આ સિવાય સુખોઈ-૫૭ ફાઈટર જેટ સપ્લાય કરવા માટે પણ ભારત અને રશિયા વચ્ચે ચર્ચા થઈ શકે છે.










