![]()
Kinjal Rabari Controversy : ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલી લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્ન વિવાદમાં મોડી રાત્રે ચોંકાવનારો વળાંક આવ્યો છે. સુરક્ષાની માંગણી કરતી અને મક્કમતાથી વીડિયો બનાવતી કિંજલને આખરે બે સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ પરિવારને સોંપી દેવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી પાસે માંગી હતી સુરક્ષા
રાધનપુરના સિનાડ ગામની વતની જાણીતી ગાયક કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો હતો કે, તેને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પાસે રક્ષણની માંગ કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક સિંગરના આંતરજ્ઞાતીય લગ્નથી વિવાદ, કિંજલ રબારીએ પોલીસ સુરક્ષા માંગી
સમાજના આગેવાનોની બેઠક અને મોટો નિર્ણય
આ મામલે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે તણાવ વધતા બંને સમાજના મોભીઓ અને આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. લાંબી ચર્ચા અને સમજાવટ બાદ, ચૌધરી સમાજના આગેવાનોએ કિંજલને તેના પરિવારને પરત સોંપવાની બાહેંધરી આપી હતી.
મોડી રાત્રે શું થયું?
મોડી રાત્રે કિંજલ રબારી અને અશોક ચૌધરીને અલગ કરવામાં આવ્યા હતા. જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કિંજલ કાયદાકીય લડત અને મક્કમતાની વાતો કરતી હતી, તે તમામ વીડિયો અને પોસ્ટ્સ એકાએક ડિલીટ કરી દેવામાં હતી. બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તે હેતુથી આગેવાનોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.










