![]()
India’s Reaction After Bangladeshi Tribunal Sentences Former PM Sheikh Hasina To Death : બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા સંભળાવવામાં આવેલી ફાંસીની સજા પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ભારતે કહ્યું છે કે, અમે આ નિર્ણય પર ધ્યાન આપી રહ્યાં છીએ અને બાંગ્લાદેશના હિતો માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ભારત સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ દ્વારા શેખ હસીના વિરુદ્ધ સંભળાવવામાં આવેલા નિર્ણયની નોંધ લીધી છે.
અમે બાંગ્લાદેશની જનતાના સર્વશ્રેષ્ઠ હિતો માટે પ્રતિબદ્ધ : ભારત
ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે, ‘એક નજીકના પાડોશી હોવાના નાતે અમે બાંગ્લાદેશની જનતાના સર્વશ્રેષ્ઠ હિતો માટે પ્રતિબદ્ધ છે.’ વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં શાંતિ, લોકશાહી, સમાવેશ અને સ્થિરતા જાળવવી અત્યંત જરૂરી છે અને ભારત હંમેશા આ મૂલ્યોના સમર્થનમાં ઊભું રહેશે. ભવિષ્યમાં પણ ભારત બાંગ્લાદેશ સાથે જોડાયેલા તમામ પક્ષો સાથે રચનાત્મક સંવાદ ચાલુ રાખશે, જેથી દેશમાં સ્થિરતા અને લોકશાહી માહોલ કાયમ રહે.’
ચુકાદા બાદ બાંગ્લાદેશમાં હિંસા
ચુકાદાના બાદ ઢાકા સહિત અન્ય શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. હસીનાની પાર્ટી અવામી લીગના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને સ્પષ્ટ કહ્યું છે કે, અમારી પાર્ટી વગર દેશમાં ચૂંટણી નહીં થવા દઈએ. કેટલાક સ્થળોએ મશાલ સળગાવીને પ્રદર્શનો કરવામાં આવ્યા છે. બસો અને દુકાનોમાં આગ લગાવવાના અહેવાલો પણ સામે આવ્યા છે. પરિસ્થિતિને જોતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. હસીનાના પુત્રએ ચેતવણી આપી છે કે, વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનશે. સરકારે અવામી લીગને ચૂંટણીમાંથી બહાર કરી દીધી છે, જેના કારણે પાર્ટીના સમર્થકો વધુ ગુસ્સે થયા છે.
આ પણ વાંચો : શેખ હસીના મુદ્દે ચુકાદા બાદ બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ, હજારોની સંખ્યામાં જવાનો તૈનાત
બાંગ્લાદેશી વિદેશ મંત્રાલયે ભારતને લખ્યો પત્ર
ઉલ્લેખનીય છે કે, ચુકાદના થોડાંક જ કલાકો બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને પત્ર લખ્યો છે અને શેખ હસીના તેમજ પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલની તાત્કાલિક પ્રત્યાર્પણની ઔપચારિક માંગણી કરી છે. પત્રમાં કહ્યું છે કે, ‘બાંગ્લાદેશી આઈસીટીએ માનવતા વિરુદ્ધના અપરાધોના ગુનામાં હસીના અને અસદુઝમાનને મોતની સજા સંભળાવી છે. જો આ ફરાર આરોપીઓને કોઈ દેશ આશરો આપે છે, તો તે દુશ્મનાવટ અને ન્યાયની અવગણના ગણાશે.’ બાંગ્લાદેશી વિદેશ મંત્રાલયે 2013માં થયેલી દ્વિપક્ષીય પ્રત્યાર્પણનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘આ સંધિ હેઠળ આ દોષિતોને બાંગ્લાદેશને સોંપવું ભારતનું અનિવાર્ય કર્તવ્ય છે. અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે, તેઓ બંનેને તાત્કાલીક બાંગ્લાદેશી અધિકારીઓને સોંપી દે.’
આ પણ વાંચો : બાંગ્લાદેશને સોંપો શેખ હસીના, ફાંસીની સજાના ચુકાદા બાદ યુનુસ સરકારનો ભારતને પત્ર
શેખ હસીનાની સજા મામલે ભારતે શું કહ્યું?
બાંગ્લાદેશી આઈસીટીએ શેખ હસીનાને સજા સંભળાવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘એક ગાઢ પાડોશી હોવાના નાતે, અમે બાંગ્લાદેશમાં શાંતિ, લોકશાહી, સમાવેશીતા અને રાજકીય સ્થિરતા સહિત ત્યાંના લોકોના શ્રેષ્ઠ હિતો માટે પ્રતિબદ્ધ છીએ. અમે બાંગ્લાદેશના તમામ હિતધારકો સાથે રચનાત્મક રીતે વાતચીત કરીશું.’
ફાંસીની ચુકાદો ગેરવ્યાજબી : શેખ હસીના
ફાંસીની સજા મામલે શેખ હસીનાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ‘ટ્રિબ્યુનલે અલોકતાંત્રિક અને પક્ષપાતી રીતે ચુકાદો આપ્યો છે. ટ્રિબ્યુનલ એવી વચગાળાની સરકાર હેઠળ કામ કરી છે, જેને લોકશાહીનો જનાદેશ જ મળ્યો નથી અને તેમના નિર્ણય રાજકીય પ્રેરીત છે. ટ્રિબ્યુનલે મને મોતની સજા સંભળાવી છે, જે સંકેત આપી રહ્યા છે કે, વચગાળાની સરકારના કટ્ટરપંથી તત્વો બાંગ્લાદેશના અંતિમ ચૂંટાયેલા વડાંપ્રધાનને ખતમ કરવા માંગે છે. આ ઉપરાંત તેઓ અમારી પાર્ટી અવામી લીગને પણ ખતમ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. બાંગ્લાદેશના લોકો ડૉ.મોહમ્મદ યુનુસ (Muhammad Yunus)ની આગેવાની હેઠળની વચગાળાની સરકારની અવ્યવસ્થિત, હિંસક અને નબળી કામગીરીનો સામનો કરી રહ્યા છે, તેવા સમયે ત્યાં લોકો સરકારના નાટકીય મુદ્દાઓથી ભ્રમિત નહીં થાય. આઈસીટીએ જે ચુકાદો આપ્યો છે, તે ન્યાય આપવા માટે પણ ન હતો અને જુલાઈ-ઓગસ્ટ 2025ની ઘટનાઓનું સત્ય સામે લાવવા માટે પણ ન હતો. આઈસીટીનો ઉદ્દેશ્ય માત્ર અવામી લીગને બલિનો બકરો બનાવવાનો અને વચગાળાની સરકારની નિષ્ફળતાથી ધ્યાન ભટકાવવાનો હતો.’
આ પણ વાંચો : બાંગ્લાદેશને સોંપો શેખ હસીના, ફાંસીની સજાના ચુકાદા બાદ યુનુસ સરકારનો ભારતને પત્ર
બાંગ્લાદેશી ICTએ શેખ હસીનાને આપી ફાંસીની સજા
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશી પૂર્વ વડાંપ્રધાન અને ગૃહમંત્રી પાંચ ઓગસ્ટ-2024થી નવી દિલ્હીમાં આશરો લઈ રહ્યા છે. બાંગ્લાદેશની ICTએ આજે (17 નવેમ્બર) પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અને અસદુઝમાનને ફાંસીની સજા સંભળાવ્યા બાદ દેશમાં ભારે હોબાળો મચ્યો છે. જુલાઈ-ઓગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલન થયું હતું, જેનો કોર્ટે ઉલ્લેખ કર્યો છે અને હસીના પર માનવાધિકારનો ઉલ્લંધનના અનેક આરોપો લગાવ્યા છે.
કોર્ટે એવું પણ કહ્યું કે, ‘શેખ હસીનાએ શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા લોકો પર બોમ્બ ઝિંકવાનો આદેશ આપ્યો હતો અને તેઓ હજારો લોકોની હત્યાઓની માસ્ટરમાઈન્ડ હતી. આંદોલનમાં 1400 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 24000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.’
આ પણ વાંચો : ફાંસીની સજા મુદ્દે શેખ હસીનાની પ્રતિક્રિયા, કહ્યું- કટ્ટરપંથી સરકાર દ્વારા ચાલતી કોર્ટનો ભેદભાવપૂર્ણ ચુકાદો










