![]()
Bihar Political News : બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ (NDA)ની પ્રચંડ જીત બાદ હવે રાજ્યમાં નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજથી (16 નવેમ્બર) બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને ચૂંટણી પંચે તમામ 243 ધારાસભ્યોની યાદી રાજ્યપાલને આપી દીધી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી નીતિશ કુમારે આવતીકાલે (17 નવેમ્બર) કેબિનેટની બેઠક બોલાવી છે.
નીતિશ કુમાર સોમવારે આપશે રાજીનામું
મુખ્યમંત્રી નીતિશ કુમારે (CM Nitish Kumar) સોમવારે સવારે 11:30 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે, જેમાં વર્તમાન મંત્રીમંડળને ભંગ કરવાના નિર્ણય પર મંજૂરીની મહોર વાગશે. કેબિનેટની આ બેઠક પૂર્ણ થયા બાદ તરત જ નીતિશ કુમાર રાજભવન જશે અને રાજ્યપાલને રાજીનામું સુપરત કરશે. ત્યારબાદ બિહારમાં નવી સરકાર રચવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થશે.
સોમવારે સવારે યોજાશે મંત્રી પરિષદની બેઠક
બિહાર સરકારના મંત્રીમંડળ સચિવાલય વિભાગના વિશેષ સચિવ અરવિંદ કુમાર વર્માએ એક પત્ર પણ જારી કર્યો છે. તેમાં કહેવાયું છે કે, પટણાના મુખ્ય સચિવાલય સ્થિત મંત્રીમંડળ કક્ષમાં સોમવારે સવારે 11:30 વાગ્યે મંત્રી પરિષદની બેઠક યોજાશે.
ગાંધી મેદાનમાં શપથ લેશે નીતિશ કુમાર: માંઝી
આ વખતે, શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં નહીં, પરંતુ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં થશે. કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે નીતિશ કુમાર સોમવારે અંતિમ મંત્રીમંડળની બેઠક બોલાવશે અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. ત્યારબાદ NDA વિધાનસભા પક્ષની બેઠક તે જ દિવસે મળશે, જ્યાં નેતાની પસંદગી કરવામાં આવશે. માંઝીએ સ્પષ્ટતા કરી હતી કે નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બનશે.
હિન્દુસ્તાની અવમ મોરચા (HAM) સુપ્રીમો જીતન રામ માંઝીએ રવિવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના બિહાર ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા, તેમણે નવી સરકાર બનાવવાની સમગ્ર પ્રક્રિયા સમજાવી. તેમણે જણાવ્યું હતું કે સોમવારે મંત્રીમંડળની બેઠકમાં આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. ત્યારબાદ, નીતિશ કુમાર રાજ્યપાલનો સંપર્ક કરશે અને રાજીનામું સુપરત કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે NDA વિધાનસભા પક્ષની બેઠક તે જ દિવસે (સોમવારે) મળશે, જ્યાં નેતાની પસંદગી કરવામાં આવશે. આ પછી, નીતિશ કુમાર ફરીથી રાજ્યપાલનો સંપર્ક કરશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ત્યારબાદ રાજ્યપાલ શપથ ગ્રહણ સમારોહની તારીખ નક્કી કરશે. અંતે, રાજ્યપાલ દ્વારા નક્કી કરાયેલી તારીખે શપથ લેવામાં આવશે.
આ પણ વાંચો : તેજ પ્રતાપની પાર્ટી JJDએ NDAને આપ્યું સમર્થન, બહેન રોહિણીને પણ મોટી ઓફર
શપથગ્રહણની તૈયારીઓ શરૂ, ગાંધી મેદાનમાં એન્ટ્રી બંધ
બીજીતરફ શપથગ્રહણ સમારોહની તૈયારી શરૂ થવાના સંકેત સામે આવ્યા છે. આ માટે પટણાના ડીએમે ચાર દિવસ માટે ગાંધી મેદાનને બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે. 17 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી ગાંધી મેદાનમાં લોકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ગાંધી મેદાનમાં શપથગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતા હોવાથી આ નિર્ણય લેવાયો છે.
19 અથવા 20 નવેમ્બરે શપથગ્રહણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારમાં નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 19 અથવા 20 નવેમ્બરે યોજાઈ શકે છે. આ સમારોહ ગાંધી મેદાનમાં યોજાય તેવી સંભાવના છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ શાસિત રાજ્યોના અન્ય મુખ્યમંત્રીઓ હાજરી આપી શકે છે.
આ પણ વાંચો : ‘મારી સાથે થયું તે થયું, બહેનનું અપમાન સાંખી નહીં લઉં’, પરિવારમાં કલેશ મુદ્દે તેજ પ્રતાપ યાદવની ચેતવણી










