Major Dissatisfaction Congress: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત નબળું રહેતા, હવે પાર્ટીની અંદરનો અસંતોષ સ્પષ્ટ રીતે બહાર આવ્યો છે. દેશભરના અનેક વરિષ્ઠ નેતાઓ, પૂર્વ નેતાઓ અને કાર્યકર્તાઓએ હાર માટે સંગઠનનું નબળું માળખું, ટિકિટ વહેંચણીમાં થયેલી ભૂલો, બૂથ-સ્તરે નબળાઈ અને શીર્ષ નેતૃત્વથી અંતર જેવા કારણોને જાહેરમાં રજૂ કર્યા છે.
કોંગ્રેસના નેતા કૃપાનાથ પાઠકે પટણામાં જણાવ્યું કે, ‘ટોચના નેતૃત્વ સુધી પક્ષની સાચી માહિતી ન પહોંચવાના કારણે આટલી મોટી ચૂક થઈ. જો નેતૃત્વ હજી પણ સજાગ નહીં થાય, તો ભવિષ્યમાં ગંભીર સંકટ ઊભું થઈ શકે છે.
જયારે કેરળના સાંસદ શશિ થરૂરે હારને ગંભીર નિરાશા ગણાવી. તેમના મતે, પક્ષે માત્ર આત્મનિરીક્ષણ ન કરવું જોઈએ, પરંતુ વ્યૂહાત્મક અને સંગઠનાત્મક ખામીની વૈજ્ઞાનિક ઢબે સમીક્ષા કરવી જોઈએ.’
થરૂરે એ વાત પર ભાર મૂક્યો કે, ‘મને બિહારમાં પ્રચાર માટે આમંત્રણ નહોતું મળ્યું, આથી મને જમીની પરિસ્થિતિનો સીધો અનુભવ નહોતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયરે કટાક્ષ કરતા કહ્યું કે, ‘કોંગ્રેસે મને પ્રચાર માટે યોગ્ય ગણ્યા નહોતો.’
ઘણા દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા
વરિષ્ઠ પાર્ટી નેતા નિખિલ કુમારના મતે, હાર માટે સંગઠનની નબળાઈ મુખ્યત્વે જવાબદાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘ચૂંટણી જીતવા માટે મજબૂત સંગઠન અનિવાર્ય છે; ઉમેદવારો ભલે સારા હતા, પરંતુ વ્યૂહરચના અને વ્યવસ્થાપનમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી.
પટણામાં કોંગ્રેસના સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે પક્ષ માટે ગંભીર સમીક્ષાની જરૂરિયાત જણાવી. તેમણે નીતિશ કુમાર અને NDAને જીત બદલ અભિનંદન પણ આપ્યા. વધુમાં, તેમણે સ્વીકાર્યું કે RJD અને કોંગ્રેસ વચ્ચેની ફ્રેન્ડલી ફાઇટે પણ નુકસાન પહોંચાડ્યું હતું.
નેતાઓ વાસ્તવિકતા અને લોકોની સમસ્યાઓથી વિખૂટા પડેલા છે- મુમતાઝ
કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલનું નિવેદન સૌથી આકરો પ્રહાર કરતું હતું. નેતૃત્વ પર વ્યંગ્ય કરતા તેમણે કહ્યું કે, ‘બહાનાબાજી કે દોષનો ટોપલો ઢોળવો હવે ચાલશે નહીં. પક્ષ વારંવાર હારે છે કારણ કે સત્તા થોડાક લોકોના હાથમાં કેન્દ્રિત છે, જેઓ વાસ્તવિકતા અને લોકોની સમસ્યાઓથી સંપૂર્ણપણે વિખૂટા પડી ગયા છે.’
આ પણ વાંચો: મહિલાઓથી માંડી જાતિગત સમીકરણ સુધી…’ બિહારમાં NDA ની બમ્પર જીતના 5 કારણો
તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહમદે ટિકિટ વિતરણમાં અનિયમિતતાઓ તરફ ધ્યાન દોર્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘જો આ આરોપો સાચા હોય, તો જરૂરી કાર્યવાહી થવી જોઈએ. AIMIM કોંગ્રેસ કરતાં વધુ બેઠકો જીતી તે અંગે તેમણે કહ્યું કે આ કોંગ્રેસ માટે આઘાતજનક અને ચિંતાનો વિષય છે, ખાસ કરીને કારણ કે કોંગ્રેસ અગાઉ સીમાંચલની ઘણી બેઠકો પર જીત મેળવતી હતી.
નિષ્કર્ષરૂપે, કોંગ્રેસની અંદર આત્મમંથનના બદલે સીધી ટીકા અને નેતૃત્વ સામેના સવાલો ઝડપથી ઉભરી રહ્યા છે. બિહારનું પરિણામ પક્ષ માટે એક મોટો અને સ્પષ્ટ સંકેત છે.











