Bangladesh conflict over SIR in Bihar: બિહારની મતદાર યાદીના Special In-depth Review (SIR)નો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે. ચૂંટણી પંચે મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટ અનુસાર બિહારના સીમાંચલ વિસ્તારમાં, જેમાં મુખ્યત્વે ચાર જિલ્લા – અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા અને કટિહારનો સમાવેશ થાય છે. જેમાં આ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં નામ હટાવવાને કારણે રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આ વિસ્તાર બાંગ્લાદેશ અને નેપાળની સરહદોને અડીને આવેલો છે અને અહીં મુસ્લિમ વસ્તી વધુ છે. આ વિસ્તાર હંમેશા ઘૂસણખોરોને કારણે સંવેદનશીલ રહ્યો છે.
યાદીમાંથી કુલ 7.6 લાખથી વધુ મતદારોના નામ હટાવી દેવામાં આવ્યા
એક અહેવાલ મુજબ, અરરિયામાં 1,58,072, કિશનગંજમાં 1,45,668, પૂર્ણિયામાં 2,73,920 અને કટિહારમાં 1,84,254 મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. આ ચારેય જિલ્લામાં મળીને કુલ 7.6 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે.
2020ની વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારમાં AIMIMએ 5 બેઠકો જીતી હતી
સીમાંચલની 24 વિધાનસભા બેઠકો પર NDA અને વિપક્ષી INDIA ગઠબંધન વચ્ચે હંમેશા નજીકની સ્પર્ધા જોવા મળે છે. જોકે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારમાં AIMIM (ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન)એ 5 બેઠકો જીતીને હાજરી નોંધાવી હતી, જેનાથી મહાગઠબંધનને મોટું નુકસાન થયું હતું. આ વખતે પણ સીમાંચલમાં ધ્રુવીકરણની સંભાવના છે, તેથી મતદાર યાદીમાંથી નામ કપાવા એ બંને ગઠબંધનો માટે એક પડકારરૂપ અને વ્યૂહાત્મક મુદ્દો બની ગયો છે.
આ પણ વાંચો: ‘એક બેગ’ને કારણે 18 લોકો ભીડ નીચે કચડાયાં… નવી દિલ્હી સ્ટેશન નાસભાગ અંગે સરકારનો ઘટસ્ફોટ
આટલા બધા નામ કેમ ડિલીટ કરવામાં આવ્યા?
ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું છે કે, આ પ્રક્રિયા હેઠળ મૃત, ડુપ્લિકેટ અને અન્ય શહેરો કે રાજ્યોમાં નામ ટ્રાન્સફર કરાવી ચૂકેલા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. આ વિસ્તાર સંવેદનશીલ માનવામાં આવતો હોવાથી, વિરોધ પક્ષોનો આરોપ છે કે આ વસ્તી વિષયક પરિવર્તન લાવવાનો પ્રયાસ હોઈ શકે છે. જ્યારે સત્તાધારી NDAનું કહેવું છે કે આ સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણીની દિશામાં એક પગલું છે.
જણાવી દઈએ કે SIRના પ્રથમ તબક્કામાં, મતદારોને બૂથ-લેવલ અધિકારીઓ (BLOs) અથવા રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત બૂથ-લેવલ એજન્ટો (BLAs) દ્વારા એક ‘ગણતરી ફોર્મ’ આપવામાં આવ્યું હતું, જેને તેમણે સહી કરીને ઓળખના પુરાવા તરીકે સ્વીકાર્ય દસ્તાવેજો સાથે પરત કરવાનું હતું.











