![]()
– ઉમરેઠ વિધાનસભામાં ઉમેદવાર પસંદગી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી બનશે
– દાવેદારોને મેન્ડેટ નહીં મળે, તો તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડીને ભાજપની બાજી બગાડી શકે તેવી સંભાવના : કોંગ્રેસનું સૂચક મૌન અને એનસીપીની ગુપ્ત બેઠકોથી રાજકારણ ગરમાયું
ડાકોર : આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. અત્યાર સુધી જે બેઠક ભાજપ માટે એકતરફી માનવામાં આવતી હતી, ત્યાં હવે ઉમેદવારોનો રાફડો ફાટયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપમાં સાતથી વધુ સક્ષમ દાવેદારોએ ટિકિટ માટે દાવો રજૂ કર્યો છે, જેના કારણે પક્ષ માટે ઉમેદવારની પસંદગી કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે. બીજી તરફ, એનસીપીના ઉમેદવારે વહેલી તકે મેદાનમાં ઉતરી પ્રચાર શરૂ કરી દેતા ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે.
ઉમરેઠ બેઠક પર ભાજપના અનેક જૂના અને જાણીતા કાર્યકરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની દાવેદારી નોંધાવી છે. ભાજપ માટે ચિંતાનો વિષય એ છે કે જો આ દાવેદારોને મેન્ડેટ (ટિકિટ) નહીં મળે, તો તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડીને ભાજપની જીતની બાજી બગાડી શકે છે. ખાસ કરીને, બે જેટલા મજબૂત દાવેદારોએ જિલ્લા ભાજપને એવો સંદેશ પણ પહોંચાડી દીધો છે કે જો પક્ષ તેમને અન્યાય કરશે તો તેઓ અપક્ષ લડતા અચકાશે નહીં. છેલ્લા બે દિવસથી સૌથી વધુ ઉમેદવારોની દાવેદારી ભારતીય જનતા પક્ષ તરફથી કરવામાં આવી રહી છે, જેમાં ઉમરેઠના પ્રકાશ પટેલ બાદ હવે બળવંત પરમારનું નામ પણ જોડાયું છે, સાથે સાથે સુનિલભાઈ સોલંકી તેમજ હર્ષદ પરમાર સહિત સંદીપ પરમાર, સુજલ શાહ, વિમલ પટેલના નામો ખૂબ જ ચર્ચામાં છે.
ભાજપ જ્યારે હજુ ઉમેદવાર નક્કી કરવામાં ગૂંચવાયેલું છે, ત્યારે ઉમરેઠ વિધાનસભામાં એક વખત ચૂંટણી જીતેલા એનસીપીના ઉમેદવાર જયંત પટેલ ઉર્ફે બોક્સીએ આશ્ચર્યજનક રીતે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. તેમણે વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે ગુપ્ત બેઠકોનો દોર શરૂ કર્યો છે, જે ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવે છે. બીજી તરફ, કોંગ્રેસ પક્ષ તરફથી હજુ સુધી કોઈ હલચલ જોવા મળી રહી નથી. વિધાનસભા સ્તરે કોંગ્રેસના નેતાઓનું મૌન અને કોઈ પણ દાવેદારનું નામ સામે ન આવવું તે રાજકીય આશ્ચર્ય સર્જી રહ્યું છે.
આણંદ જિલ્લા ભાજપ દ્વારા હજુ સુધી સત્તાવાર સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. જોકે, પ્રાપ્ત વિગતો મુજબ પ્રદેશ ભાજપ દ્વારા આગામી સપ્તાહમાં ત્રણ નિરીક્ષકોની પેનલની નિમણૂક કરવામાં આવશે. આ નિરીક્ષકો નાવલી ખાતે આવેલા ‘કમલમ’ કાર્યાલયમાં ઉમરેઠ વિધાનસભાના તમામ દાવેદારોને રૂબરૂ સાંભળશે. આ પ્રક્રિયા બાદ તૈયાર થયેલી પેનલ પ્રદેશ ચૂંટણી સમિતિને મોકલવામાં આવશે, જ્યાંથી આખરી ઉમેદવારના નામ પર મહોર મારવામાં આવશે. ભાજપની સેન્સ પ્રકિયામાં ભારે નવા જૂની થાય તેમ પણ છે, સ્વ.ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ર્ષદ પરમારે પણ દાવેદારીની જાહેરાત કરતા ભાજપ માટે ઉમેદવારની પસંદગી પેચીદી બની ગઈ છે.
ઉમરેઠ વિધાનસભા વર્ષ 2022 નું પરિણામ
ગોવિંદભાઈ પરમાર (ભાજપ) – ૯૫૬૩૯ મત
જયંત પટેલ (એનસીપી) – ૬૮૯૨૨ મત
જગદીશભાઈ ઠાકોર (અપક્ષ) – ૫૪૧૫ મત
નોટા…૩૮૫૬
ઉમરેઠ વિધાનસભાનો રાજકીય ઇતિહાસ
ઉમરેઠ વિધાનસભામાં ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૨મા ઉદેસિંહ વીરસિંહ વડોદીયા કોંગ્રેસમાંથી વિજય હતા થયા હતા. ૧૯૭૫, ૧૯૮૦ અને ૮૫માં હરિહરભાઈ ખંભોળજા વિજેતા થયા હતા. ૧૯૯૦, ૧૯૯૫ અને ૧૯૯૮ની ચૂંટણીમાં ત્રણ વખત જનતા દળ અને કોંગ્રેસમાંથી સુભાષ શેલત વિજેતા થયા હતા, કુસુમબેન ખંભોળજા અને સુભાષભાઈ સેલત પણ વિજેતા થયા હતા. ૨૦૦૨મા ભાજપે વિષ્ણુભાઈ પટેલને ટિકિટ આપતો તેઓ વિજેતા થયા હતા. ૨૦૦૭ની વિધાનસભામાં કોંગ્રેસના લાલસિંહ વડોદીયા વિજેતા થયા હતા. ૨૦૧૨માં એનસીપીના જયંત પટેલ વિજેતા થયા બાદ ૨૦૧૭થી ૨૦૨૨ સુધી ગોવિંદભાઈ પરમાર વિજેતા થયા હતા.










