![]()
Bangladesh Violence : ભારત અને બાંગ્લાદેશના સંબંધો હવે વધુ ખટાશભર્યા થઈ ગયા છે. ભારતની કાર્યવાહીથી તમતમી ગયેલા બાંગ્લાદેશે વળતાં જવાબમાં નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનથી કોન્સ્યુલર અને વિઝા સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. એક દિવસ પહેલા, ભારતે બાંગ્લાદેશના દક્ષિણપૂર્વ બંદર શહેર ચટ્ટોગ્રામમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રમાં વિઝા સેવાઓ આગામી સૂચના સુધી સ્થગિત કરી દીધી હતી. સૂત્ર મુજબ ભારતના કટ્ટર વિરોધી અને શેખ હસીના સરકારને ઉથલાવનાર શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ થયેલી હિંસા પછી બંને દેશોમાં સંબંધ વધુ બગડ્યા છે.
અનિવાર્ય સંજોગોનું આપ્યું કારણ
આ સાથે બાંગ્લાદેશ હાઈકમિશને એક નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે ‘અનિવાર્ય સંજોગોને કારણે, નવી દિલ્હી સ્થિત મિશન ખાતેની તમામ કોન્સ્યુલર અને વિઝા સેવાઓ આગામી સૂચના સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરીએ છીએ’
ભારત એક્શનનું રીએક્શન!
મહત્વનું છે કે બાંગ્લાદેશના બીજા સૌથી મોટા શહેરમાં ભારતીય સહાયક ઉચ્ચ આયોગ (AHCI)ની બહાર મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા એકઠા થયા હતા, જે બાદ ભારતે ચટ્ટોગ્રામમાં વિઝા સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. જેના જવાબમાં આજે બાંગ્લાદેશે અનિવાર્ય સંજોગોનું કારણ આગળ ધરી ભારતીયો માટે વિઝા સેવા સ્થગિત કરી દીધી છે.
ભારતે એક વિઝા સેન્ટર બંધ કર્યું હતું
બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ભારતે વિઝા સેવા સસ્પેન્ડ કરી દીધી હતી. ઇન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટરે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે તાજેતરની ઘટનાઓ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લઇને હવે આ સેન્ટર ફરી ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. બાંગ્લાદેશમાં આવા પાંચ સેન્ટરો છે જેમાં ઢાકા, ખુલના, રાજશાહી, ચટ્ટોગ્રામ અને સીલહેટનો સમાવેશ થાય છે. જોકે અન્ય ચાર ઓફિસો રાબેતા મુજબ ચાલુ રહેશે. બાંગ્લાદેશે દાવો કર્યો હતો કે દિલ્હીમાં સ્થિત તેની એમ્બેસી સામે લોકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જોકે આ દાવો જુઠો સાબિત થયો છે. કેન્દ્રીય મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે કે બાંગ્લાદેશ આ મુદ્દે જૂઠ ફેલાવી રહ્યું છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશને લઈને ભારત સરકારની મોટી કાર્યવાહી, ઢાકામાં ઈન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર બંધ
હાદીના મોત બાદ હિંસા ભડકી, અનેક વિસ્તારોમાં હુમલા-આગચંપી
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધના આંદોલનના મુખ્ય ચહેરા અને ભારત વિરોધી આકરી બયાનબાજી માટે જાણીતા શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે (18 ડિસેમ્બર) સિંગાપુરમાં મોત થયું છે. હાદીના મોતના સમાચાર ફેલાતાની સાથે જ રાજધાની ઢાકામાં હિંસા ભડકી ઉઠી હતી. ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ દેશના બે મોટા અખબારો ‘પ્રથમ આલો’ અને ‘ડેઇલી સ્ટાર’ની ઓફિસોમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી, જ્યારે રાજશાહીમાં અવામી લીગના કાર્યાલયને પણ આગને હવાલે કરી દીધું હતું.
હાદીને ગોળી મારવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બરના રોજ ઢાકાના બિજોયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ હાદીના માથામાં ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેમને પહેલા ઢાકા અને ત્યારબાદ 15 ડિસેમ્બરે એર એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે સિંગાપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. હાદીના મોત બાદ, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કરી લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી. તેમણે હાદીને ‘જુલાઈ વિદ્રોહના નીડર યોદ્ધા અને શહીદ’ ગણાવ્યા અને શુક્રવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી. યુનુસે હાદીના હત્યારાઓને છોડવામાં નહીં આવે તેવું વચન આપ્યું અને તેમના પરિવારની જવાબદારી સરકાર લેશે તેવી પણ જાહેરાત કરી. શરીફ ઉસ્માન હાદી ‘ઇન્કલાબ મંચ’ના સંસ્થાપક હતા અને જુલાઈ 2024માં શેખ હસીના સરકારને ઉથલાવી પાડનાર વિદ્રોહમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
કટ્ટરવાદીઓએ દીપુ ચંદ્ર દાસને જીવતો સળગાવ્યો હતો
બાંગ્લાદેશમાં શરીફ ઉસ્માન હાદીના મોત બાદ કટ્ટરવાદીઓએ દીપુ ચંદ્ર દાસને મોતને ઘાટ ઉતાર્યો હતો. 25 વર્ષીય દીપુ ચંદ્ર દાસ ગાર્મેન્ટ ફેક્ટરીમાં મજૂરી કરતો હતો, ગત ગુરુવારે ટોળાએ બાલુકા વિસ્તારમાં તેને બાનમાં લીધો અને જાહેરમાં ઢોર માર માર્યો, બાદમાં તેના મૃતદેહને જાહેરમાં સળગાવ્યો હતો. કટ્ટરવાદીઓએ દીપુ પર ઇશનિંદાનો આરોપ લગાવ્યો હતો. જોકે ખુદ બાંગ્લાદેશ પોલીસે જાહેરમાં સ્પષ્ટતા કરી હતી કે દીપુએ કોઇ જ ઇશનિંદા થાય તેવી પોસ્ટ કે કૃત્ય નથી કર્યું તે નિર્દોષ હતો. આ મામલો જ્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો ત્યારે બાંગ્લાદેશની કટ્ટરવાદી મોહમ્મદ યુનુસ સરકાર સફાળી જાગી હતી અને કાર્યવાહીના નામે 12 આરોપીઓની ધરપકડ કરી હતી.










