ગૌહાતિ,27 સપ્ટેમ્બર,2025, શનિવાર
ત્રિપુરામાં ગાંઢ જંગલ અને પર્વતની હારમાળાઓ વચ્ચે આવેલા સદીઓ જૂના નિર્જન પ્રાચીન સ્થળનું નામ ઉનાકોટી છે જેનો અર્થ એક કરોડમાં એક સંખ્યા ઓછી એવો થાય છે. એક જ સ્થળે આટલી વિશાળ સંખ્યામાં મૂર્તિઓનું નિર્માણ સંશોધનનો વિષય છે. પૂર્વોત્તર ભારત પ્રવાસ પર્યટન અને રહસ્યોથી ભરપૂર છે પરંતુ તેના વિશે લોકોને પૂરતી જાણકારી નથી. ત્રિપુરા રાજયમાં ઉનાકોટી જિલ્લાના મુખ્ય મથક કૈલાશહેર પાસે એક પુરાતત્વ સ્થળ છે. આસપાસના વિસ્તારમાં અણાબીડ જંગલ અને પર્વતની હારમાળાઓ જોવા મળે છે.
આ સ્થળે પહાડોના પથ્થરો કોતરીેને હિંદુ દેવી દેવતાઓની કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. આ કળાકૃતિઓની સંખ્યા એક બે કે ત્રણ નહી પરંતુ એક કરોડમાં માત્ર એક ઓછી છે. ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓ આ નિર્જન સ્થળે કોણે, કયારે અને શા માટે બનાવી હશે તે એક રહસ્ય છે. ઉનાકોટી સ્થળનો અર્થ પણ એક કરોડમાં એક અંક ઓછો એવો થાય છે. ત્રિપુરાના પાટનગર અગરતલાથી ૧૪૫ કિમી દૂર આવેલું સ્થળ ભારતના કેટલાક રહસ્યોમાંનું એક ગણાય છે. પત્થરો કોતરીને ઉનાકોટી મંદિર પરીસર વિસ્તારમાં આટલી વિશાળ સંખ્યામાં મૂર્તિઓનું નિર્માણ પુરાતત્વવિદો અને ઇતિહાસના વિદ્વાનો માટે હજુ પણ સંશોધનનો વિષય છે. એક કરોડમાં એક ઓછી હોવા પાછળનો તર્ક સમજી શકાતો નથી.

આસપાસના લોકો વર્ષમાં ચોકકસ સમયે આવીને આ મૂર્તિઓની પૂજા કરે છે. ઉનાકોટીમાં બે પ્રકારની મૂર્તિઓ છે. એક પથ્થરો પસંદ કરીને તરાશીને અને બીજી પહાડમાં જ કોતરણી કરેલી છે. ભગવાન શીવ, દેવી દુર્ગા, ભગવાન વિષ્ણુ અને ગણેશ ભગવાનની મૂર્તિઓ વિશેષ જોવા મળે છે. ઉનાકોટી સ્થાનની મધ્યમાં ભગવાન શીવની ૩૦ ફૂટ ઉંચી વિશાળ પ્રતિમા ઉનાકોટેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. ભગવાન ગણેશની ચાર ભૂજાઓવાળી ઉપરાંત ચાર દાંત અને આઠ ભૂજાઓવાળી મૂર્તિઓ પણ ધ્યાન ખેંચે છે. કાળ ભૈરવની મૂર્તિ પણ ધ્યાન ખેંચે છે. દુગર્મ અને અત્યંત અંતરિયાળ સ્થળે સદીઓ પહેલા ટાંચા સાધનોની વચ્ચે સેંકડો લોકોએ ભેગા થઇને આ લાખો મૂર્તિઓ તૈયાર કરી હશે એવું જણાય છે.
જો કે આ સ્થળ માટે સ્થાનિક વિસ્તારમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે તેમાંની કથા મુજબ આ પ્રતિમાઓ ભગવાન શીવના કહેવાથી કાળુ નામના શિલ્પકારે બનાવી હતી. આ કલાકૃતિઓનું નિર્માણ ૭ મી થી ૯ મી સદી પહેલા થઇ હોવાનું માનવામાં આવે છે. સેંકડો વર્ષો સુધી આ સાઇટની સતત ઉપેક્ષા થવાથી પથ્થરમાં કંડારેલી કળાને ખૂબજ નુકસાન થયું છે. ભારતીય પુરાતત્વ વિભાગે દેશનું વિરાસત સ્થળ જાહેર થયા પછી કેટલાક સુધારા કર્યા છે પરંતુ તે પૂરતા નથી. હજુ પણ ખોદકામ કરવામાં આવેતો ઐતિહાસિક પ્રમાણો મળી શકે છે. આ સ્થળ માત્ર ભારત જ નહી વિશ્વની વિરાસત બની શકે તેવું છે.










