![]()
મુંબઈ : ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની સરખામણીએ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ના હોલ્ડિંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતે એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોનો રોકાણ હિસ્સો ૪૪ બેઝિસ પોઈન્ટ વધી ૧૮.૨૫ ટકા રહ્યો હતો જ્યારે એફપીઆઈનો હિસ્સો આ ગાળામાં ૩૪ બેઝિસ પોઈન્ટ ઘટી ૧૬.૭૦ ટકા પર આવી ગયો છે.
મૂડી બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ડીઆઈઆઈના હિસ્સામાં વધારો થવા પાછળનું કારણ રિટેલ રોકાણકારો દ્વારા ફન્ડોમાં વધી રહેલા રોકાણ રહેલું છે. રિટેલ રોકાણકારો તરફથી મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ્સમાં સતત ઈન્ફલોઝ રહ્યા કરે છે. બીજી બાજુ વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા તથા ઊંચા મૂલ્યાંકનોને પરિણામે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી પોતાના રોકાણ પાછા ખેંચી રહ્યા છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) મારફત રિટેલ રોકાણકારોના વિક્રમી ઈન્ફલોસના ટેકા સાથે મ્યુચ્યુઅલ ફન્ડોનો લિસ્ટેડ કંપનીઓમાં હિસ્સો વધી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૧૦.૯૦ ટકા પહોંચી ગયો હતો જે જૂનમાં ૧૦.૫૬ ટકા રહ્યો હતો. વર્તમાન વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રૂપિયા ૧.૦૨ લાખ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું જ્યારે ઘરેલુ રોકાણકારોએ રૂપિયા ૨.૨૦ લાખ કરોડની ખરીદી કરી છે.
વર્તમાન ૨૦૨૫ના અત્યારસુધીના ગાળામાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં નેટ વેચવાલ જ રહ્યા છે. ભારતમાંથી નાણાં પાછા ખેંચી વિદેશી રોકાણકારો અમેરિકા, ઉપરાંત ચીન, કોરિઆ જેવી ઊભરતી બજારોમાં નાણાં ઠાલવી રહ્યા છે જ્યાં તેમને વ્યવહારુ મૂલ્યાંકને સ્ટોકસ મળી રહ્યા છે, એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
ભારતીય કંપનીઓમાં ડિસેમ્બર ૨૦૨૦થી વિદેશી રોકાણકારોના હોલ્ડિંગમાં ઘટાડો થઈ રહ્યો છે. ડિસેમ્બર ૨૦૨૦ના અંતે વિદેશી રોકાણકારોનું ભારતીય કંપનીઓમાં હોલ્ડિંગ જે ૨૧.૨૦ ટકા હતું તે હાલમાં ૧૬.૭૦ ટકા પર આવી ગયાનું પણ પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.
વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે પણ ભારતીય બજારો ટકી રહેવામાં સફળ રહ્યા છે, જેમાં રિટેલ રોકાણકારોની ભૂમિકા મહત્વની રહેલી છે.










