![]()
– કાશ્મીરમાં આતંકીઓની આતંકની પરંપરા ચાલુ : જવાનોની શહાદત પછી પણ…
– દ્વિપક્ષીય સંબંધોની નીતિ મુજબ ભારતીય ટીમને પાક. જવા અને પાક. ટીમને ભારત આવવાની મંજૂરી નહીં અપાય : કેન્દ્ર
– ૨૦૧૨-૧૩થી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી નહીં, એશિયા કપમાં રમશે
નવી દિલ્હી: એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપની જાહેરાત કરી ત્યારથી પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચ અંગે ભારતમાં ભારે હોબાળો મચ્યો છે. પહલગામમાં આતંકી હુમલા પછી પીએમ નરેન્દ્ર મોદીએ અનેક મંચ પરથી પાકિસ્તાનને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે ‘લોહી અને પાણી’ સાથે વહી શકે નહીં. તેમની આ જાહેરાતના સંદર્ભમાં જ ક્રિકેટ ચાહકો એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવાની માગ કરી રહ્યા છે. દેશમાં ભારે વિરોધ વચ્ચે સ્પોર્ટ્સ મંત્રાલયે ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે કહ્યું કે, ખેલાડીઓને તટસ્થ સ્થળ પર વૈશ્વિક ઈવેન્ટ્સમાં ભાગ લેતા રોકાશે નહીં.
પહલગામમાં આતંકીઓએ હિન્દુઓની નામ પૂછીને હત્યા કર્યા પછી ભારતે પાકિસ્તાન સાથે દરેક પ્રકારના દ્વિપક્ષીય સંબંધો કાપી નાંખ્યા છે. આવા સમયે એશિયા કપ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં ક્રિકેટ મેચ રમાવાની છે. એશિયા કપનો કાર્યક્રમ જાહેર થયા પછીથી અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો, વરિષ્ઠ નેતાઓ સહિત નાગરિકો ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન સામેની મેચનો વ્યાપક વિરોધ કરી રહ્યા છે, જેના પગલે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે કે નહીં તે અંગે અસમંજસની સ્થિતિ પ્રવર્તતી હતી.
સ્પોર્ટ્સ મંત્રાલયે આખરે ગુરુવારે રમત-ગમતના ક્ષેત્રમાં ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો મુદ્દે નવી નીતિ જાહેર કરી છે, જેમાં પાકિસ્તાન પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. આ નવી નીતિ મુજબ કોઈપણ રમતોમાં દ્વિપક્ષીય આયોજનો માટે ભારતીય ખેલાડીઓને પાકિસ્તાન જવાની અને પાકિસ્તાની ખેલાડીઓને ભારત આવવાની મંજૂરી નહીં અપાય. આ નીતિનો તાત્કાલિક અમલ કરાશે. આ નીતિ હેઠળ બંને દેશો વચ્ચે કોઈ તટસ્થ સ્થળ પર પણ દ્વિપક્ષીય આયોજનોને મંજૂરી નહીં અપાય.
જોકે, એશિયા કપ અને આઈસીસી ટુર્નામેન્ટ જેવી બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં ભારતીય ખેલાડીઓને રમતા રોકવામાં આવશે નહીં. જોકે, આ ટુર્નામેન્ટ્સનું આયોજન પાકિસ્તાનમાં થયેલું ન હોવું જોઈએ. તે કોઈ તટસ્થ સ્થળે રમાતી હોય તો ભારતીય ખેલાડીઓ તેમાં ભાગ લઈ શકશે. પાકિસ્તાને ખુલ્લેઆમ કહ્યું છે કે તે એક ડમ્પ ટ્રક છે અને તે ચમકતી મર્સિડીઝ જેવા ભારતને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓને કોઈપણ સંજોગોમાં પાકિસ્તાન જવાની મંજૂરી નહીં અપાય તેમ અધિકારીએ ઉમેર્યું હતું.
સ્પોર્ટ્સ મંત્રાલયની આ જાહેરાતથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં આમને-સામને રમશે. ટી-૨૦ ફોર્મેટમાં અબુ ધાબીમાં યોજાઈ રહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ સપ્ટેમ્બરે મેચ યોજાવાની છે તથા આ ટુર્નામેન્ટની ફાઈનલ ૨૯ સપ્ટેમ્બરે રમાશે.
સ્પોર્ટ્સ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ભારતની આ નીતિનો તાત્કાલિક અમલ કરાશે. આ નીતિ મુજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો હાલ ફરી શરૂ થવાની કોઈ સંભાવના નથી. જોકે, અહીં એ નોંધવું જોઈએ કે ભારતમાં પાકિસ્તાન સમર્થીત આતંકી હુમલાઓના કારણે વર્ષ ૨૦૧૨-૧૩થી જ ભારતે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણીના આયોજન પર પ્રતિબંધ મૂકેલો છે. ૨૦૧૨ પછી ભારત અને પાકિસ્તાનની પુરુષ અને મહિલા ટીમો માત્ર બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ અને મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં જ આમને-સામને રમી છે.
આ પહેલાં ભારતે સુરક્ષાના કારણો દર્શાવીને વર્ષ ૨૦૨૩માં પાકિસ્તાનમાં યોજાયેલા એશિયા કપ અને ૨૦૨૫માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાનો ઈનકાર કરી દીધો હતો, જેને પગલે આ ટુર્નામેન્ટોમાં ભારતની મેચો તટસ્થ સ્થળો પર રમાઈ હતી. આ સિવાય પાકિસ્તાનની હોકી ટીમે પણ ૨૮ સપ્ટેમ્બરે બિહારમાં યોજાનારા એશિયા હોકી કપમાં રમવાનો ઈન્કાર કરી દીધો છે.










