Direct flights between India and China: ભારત અને ચીને લાંબા સમય બાદ સીધી હવાઈ સેવા ફરીથી શરૂ કરવા પર મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ગલવાન ઘાટીમાં અથડામણ બાદ પાંચ વર્ષ સુધી તણાવપૂર્ણ સંબંધો બાદ લેવાયો છે. વિદેશ મંત્રાલયે ગુરૂવારે તેની સત્તાવાર જાહેરાત કરી. ત્યારબાદ એરલાઈન IndiGoએ પણ જાહેરાત કરી છે કે તેઓ 26 ઓક્ટોબરથી ભારત-ચીન વચ્ચે પ્રત્યક્ષ ઉડાનો ફરીથી શરૂ કરશે.
જોકે, વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ વર્ષની શરૂઆતથી જ ભારત અને ચીન વચ્ચે સંબંધો ધીરે-ધીરે સામાન્ય કરવાના સરકારના દૃષ્ટિકોણ હેઠળ બંને દેશોના સિવિલ એવિએશન ઓથોરિટીએ સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા અને હવાઈ સેવા કરારમાં સુધારો કરવા માટે ટેકનિકલ સ્તરે ચર્ચાઓ કરી છે.

સીધી ફ્લાઈટ્સ ડોકલામ વિવાદ બાદ બંધ કરી દેવાઈ હતી અને કોવિડ-19 મહામારીના કારણે તેના પર વધુ સમય સુધી પ્રતિબંધ લંબાવાયો હતો.
ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થશે ફ્લાઈટ્સ
વિદેશ મંત્રાલયના અનુસાર, હવે વાતચીત બાદ નક્કી થયું છે કે, ભારત અને ચીન હવાઈ માર્ગો પર સીધી ઉડાનો ઓક્ટોબર 2025ના અંત સુધી શરૂ થશે. આ ઉડાનો બંને દેશોની એરલાઈન્સની વ્યાવસાયિક મંજૂરી અને તમામ સંચાલન નિયમોના પાલન પર નિર્ભર હશે. આ કરારથી બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક સરળ થશે અને દ્વિપક્ષીય સંબંધો ધીરે-ધીરે સામાન્ય થશે.
26 ઓક્ટોબરથી ફ્લાઈટ્સને શરૂ કરશે IndiGo
IndiGoએ કહ્યું કે, હાલની રાજનૈતિક પહેલ બાદ એરલાઈન્સે પોતાની સેવાઓને મુખ્યભૂમિ ચીન માટે ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે કોલકાતા થી ગ્વાંગઝૂ (CAN) વચ્ચે દરરોજ, નોન-સ્ટોપ ફ્લાઈટ્સ 26 ઓક્ટોબર, 2025થી સંચાલિત કરાશે.
એરલાઈને એમ પણ કહ્યું કે, તેઓ દિલ્હી અને ગ્વાંગઝૂ વચ્ચે પ્રત્યક્ષ ફ્લાઈટ્સને ટૂંક સમયમાં જ શરૂ કરશે. આ ફ્લાઈટ્સના સંચાલન માટે Airbus A320neo વિમાનોનો ઉફયોગ કરાશે. તેનાથી બંને દેશો વચ્ચે વેપાર, રણનીતિક ભાગીદારી અને પર્યટનના નવા અવસરો પુનઃસ્થાપિત કરી શકાશે.
ચીનના વિદેશ મંત્રીની મુલાકાત બાદ લેવાયો હતો નિર્ણય
જણાવી દઈએ કે, સીધી ફ્લાઈટ્સને ફરીથી શરૂ કરવાની પહેલી જાહેરાત ગત મહિને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની નવી દિલ્હી યાત્રા બાદ કરાઈ હતી. ગત મહિનાથી બંને દેશોના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે. 2024ના અંતમાં દેપસાંગ અને ડેમચોકમાં LAC પર સૈનિકોની વાપસી અને ભરોસાપાત્ર પગલા ભરવાથી સંબંધો સ્થિર થયા છે.
તેમાં ઉચ્ચ સ્તરની રાજનૈતિક અને સૈન્ય વાતચીત, ટ્રેક-2 વાચતી અને કેટલાક વ્યાપારિક પ્રતિબંધોમાં છૂટછાટ સામેલ છે. સીધી ફ્લાઈટ્સને ફરીથી શરૂ કરવી ભારત અને ચીન વચ્ચે સામાન્ય આદાન-પ્રદાનની દિશામાં એક મોટું પગલું છે. આ વ્યાપાર, યાત્રા અને લોકો વચ્ચે સંપર્કને સરળ બનાવવામાં મદદ કરશે.










